ગુજરાત
News of Wednesday, 4th December 2019

વડોદરા : ATMથી ૧૦૦ના બદલામાં ૫૦૦ની નોટ નીકળી

૫૦૦ની નોટ નીકળતા લોકો પૈસા માટે ઉમટયા : ટેકનિકલ ખામીના પરિણામે માત્ર ૧૦૦ના બદલે રૂપિયા ૫૦૦ નીકળી રહ્યા હતા : નિયત મર્યાદા કરતાં વધુ ઉપાડ

અમદાવાદ, તા.૪ : વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે યજ્ઞપુરૂષ કોમ્પ્લેક્ષ સ્થિત આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના એટીએમમાંથી રૂ.૧૦૦ના બદલે રૂ.૫૦૦ની નોટ નીકળતા ભારે ચકચાર મચી ગઇ હતી. રૂ.૧૦૦ના બદલે રૂ.૫૦૦ની નોટ નીકળતી હોવાની વાત વાયુવેગે ફેલાતાં એટીએમમાંથી પેૈસા ઉપાડવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. એક તબક્કે નિયત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપડી ગયા હતા, છેવટે આ અંગેની જાણ પોલીસને થતાં તુરતજ પોલીસ પહોંચી ગઇ હતી અને શટર પાડીને એટીએમ બંધ કરાવી દીધું હતું. દરમ્યાન એટીએમના ટેકનીકલ વ્યક્તિએ જણાવ્યું કે, ટેકનીકલ ખામીના કારણે માત્ર રૂપિયા ૧૦૦ના બદલે રૂપિયા ૫૦૦ નીકળી રહ્યા હતા. એટીએમમાં નાણાં લોડ કરતા કરણ મિશ્રાએ જણાવ્યું હતું કે, આઇ.સી.આઇ.સી.આઇ.ના એટીએમમાંથી જેટલા નાણાં ઉપાડવાના હોય તેનાથી ડબલ નીકળી રહ્યા હોવાની જાણ થતાં અમો સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ કરતા માત્ર રૂપિયા ૧૦૦ના બદલામાં રૂપિયા ૫૦૦ નીકળી રહ્યા હતા.

               એટીએમમાં સર્જાયેલી ટેકનીકલ ખામીના કારણે રૂપિયા ૧૦૦ના બદલે રૂપિયા ૫૦૦ નીકળી રહ્યા હતા. એટીએમને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતુ. જો કે, રૂપિયા ૧૦૦ના બદલે રૂપિયા ૫૦૦ કેટલાં ગ્રાહકો લઇ ગયા તે અંગે તપાસ બાદ ખબર પડશે. વડસર રોડ યજ્ઞપુરૂષ કોમ્પ્લેક્ષ સ્થિત આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના એટીએમમાંથી ડબલ નાણાં નીકળી રહ્યા હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકો એટીએમ ખાતે ઉમટી પડ્યા હતા. અને નાણાં ઉપાડવા માટે લાંબી કતારો લગાવી હતી. જો કે, અફડા-તફડી મચે તે પૂર્વે કોઇ વ્યક્તિએ પોલીસને જાણ કરી દેતા પોલીસ દોડી આવી હતી અને એટીએમ બંધ કરાવી દીધું હતું. નાણાં ઉપાડવા માટે ધસી ગયેલા લોકોએ જણાવ્યું હતું કે, અનેક લોકો ટેકનીકલ ખામીનો ફાયદો ઉઠાવીને વધુ નાણાં લઇ ગયા છે. બેંકે હવે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

(8:33 pm IST)