આંખની બીમારીથી પીડાતી પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી હોસ્પિટલમાં ત્રીજા માળેથી પડતું મૂક્યું: સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદ:આંખની બિમારીથી પિડાતી પરિણીતાએ સાસુના મ્હેણાટોંણાથી કંટાળીને દવાનો વધુ પડતો ડોઝ પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે તેણે હોસ્પિટલના ત્રીજા માળેથી પડતુ મુકીને આપઘાત કરી લીધો હતો. શાહીબાગ પોલીસે સાસુ વિરૃદ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ સરદારનગરમાં શીવસાંઈ કોમ્પલેક્સમાં રહેતા દ્વારકાદાસ ભાગચંદાણીની દિકરી કાવ્યાબહેનના લગ્ન ૨૦૧૩માં સરદારનગરમાં રહેતા સંદીપ એ.રામાણી સાથે થયા હતા. તેમને સંતાનમાં ચાર વર્ષનો પુત્ર છે. કાવ્યાબહેનને લગ્ન પહેલા ડાબી આંખમા પડદાની તકલીફ હોવાથી ઓપરેશન કરાવ્યું હતું. જેમાં તેમને ડાબી આંખે ઓછુ દેખાતું હતું. આ અંગે દ્વારકાદાસે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની દિકરીની આંખની બિમારીને કારણે સાસુ લાજવંતીબહેન એ.રામાણી તુ બિમાર રહે છે, અમારા માથે પડેલી છે, તુ જરાય ગમતી નથી કહીને મ્હેણાટોંમા મારતા હતા. જેને કારણે કંટાળીને તેણે આ પગલું ભર્યું હતું.