મુખ્યમંત્રી સાથે ‘મોકળા મને’ શ્રેણીનો ત્રીજો કાર્યક્રમ : કાલે વિજયભાઈ રૂપાણી દિવ્યાંગો સાથે સંવાદ કરશે
રાજ્યભરમાંથી દિવ્યાંગ, વિકલાંગ, માનસિક બિમાર તથા મુકબધિરોની સેવા-સુશ્રૃસા સાથે સંલગ્ન ૨૨ સંસ્થાઓના ૫૪ પ્રતિનિધિઓ સહભાગી થશે
અમદાવાદ :રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નાગરિકો સાથે સીધો સંવાદ કરવાના આશયથી આરંભાયેલ ‘મોકળા મન’ કાર્યક્રમને રાજ્યભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. રાજ્યની વિકાસ યાત્રામાં લોકોને જોડીને તેમના સૂચનો આવકારવા માટે યોજાઇ રહેલ આ કાર્યક્રમમાં વિવિધ સમાજના-વર્ગના નાગરિકોને દર મહિને આમંત્રીત કરીને મુખ્યમંત્રીશ્રી સાથે સંવાદ યોજવામાં આવે છે
. કાલે તા.૫ ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં રાજ્યના ‘દિવ્યાંગ’ બાળકોની વિવિધ સંસ્થાઓના ૫૪ જેટલા દિવ્યાંગ બાળકો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે રૂબરૂ મુલાકાત કરીને સીધો સંવાદ કરશે.
જે સમાજમાં દિવ્યાંગો પ્રત્યે સંવેદના ન હોય તે સમાજ સંસ્કારી ગણાતો નથી ત્યારે દિવ્યંગો પ્રત્યે સંવેદના ધરાવતા મુખ્યમંત્રીશ્રી આ કાર્યક્રમમાં માનસિક, શારીરિક દિવ્યાંગો તથા અનાથ બાળકો સાથે મોકળા મને સંવાદ કરશે
. આ બાળકો દિવ્યાંગ હોવા છતાં, વિવિધ પ્રવૃત્તિઓમાં રસ લઇ ઉત્સાહભેર આગળ વધી વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. ચિત્રકામ, ડાન્સ, ખેલમહાકુંભ, ક્રિકેટ, ચેસ, સિતાર-ગાયન, હારમોનિયમ, સંગીત, લોકનૃત્ય, ક્રાફ્ટ, સિવણ અને કોમ્પ્યુટર જેવા ક્ષેત્રોમાં પારંગત થયેલ દિવ્યાંગ વિદ્યાર્થીઓ કોઇ મુલાકાતી તરીકે નહી પરંતુ મુખ્યમંત્રીશ્રીના મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે તેમની સાથે તેમના માતા-પિતા અને શાળાના સંચાલક પણ હાજર રહીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે રૂબરૂ મુલાકાત કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘મોકળા મને’ કાર્યક્રમ અંતર્ગત અગાઉ રાજ્યના એવોર્ડી શિક્ષકો તથા ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી, તથા મુખ્યમંત્રીશ્રી દ્વારા તેમની સમસ્યાઓના હકારાત્મક નિરાકરણ માટે યોગ્ય પગલાઓ લેવાઇ રહ્યા છે.
સામાન્યતઃ મુખ્યમંત્રી નિવાસ સ્થાનની મુલાકાત સામાન્ય ગરીબ વંચિત લોકો માટે મુશ્કેલ હોય છે, પરંતુ વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી-CM, કોમનમેન તરીકેની પોતાની છબીને વધુ ઉજાગર કરતા સીએમ હાઉસને આવા સંવાદ મિલનથી સાચા અર્થમાં કોમનમેન હાઉસ બનાવ્યું છે.