ખોખરા : ૧૩ માળેથી કૂદેલી મહિલા વૃદ્ધનો જીવ લઇ ગઇ
૩૦ વર્ષીય મહિલા-૬૯ વર્ષીય વૃદ્ધનું મોત થયું : ૧૩માં માળેથી કુદેલી મહિલા મોનિંગ વોક ઉપર નીકળેલા વૃદ્ધ ઉપર પડી : બંનેના મોત થયા : મામલામાં ઉંડી તપાસ
અમદાવાદ, તા.૪ : શહેરના ખોખરા વિસ્તારમાં આજે સવારે એક વિચિત્ર ઘટના બની હતી. ખોખરામાં આવેલા પરિસ્કર-૨ના ફેઝ-૨માં ઇ બ્લોકના ૧૩માં માળેથી એક મહિલાએ આત્મહત્યા કરવા નીચે ઝંપલાવ્યું હતુ, બરોબર એ જ વખતે યોગાનુયોગ એક વૃધ્ધ મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. ૧૩મા માળેથી પડતું મૂકનાર મહિલા ભારે જોરથી આ વૃધ્ધ પર પડી હતી અને બંને જમીન પર જોરદાર રીતે પટકાયા હતા. જેના કારણે ગંભીર ઇજાઓ થવાથી બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ સુરતમાં રહેતા મમતાબહેન કાઠી(ઉ.વ.૩૦) તેમની માનસિક સારવાર માટે પોતાના ભાઇના ત્યાં શહેરના ખોખરા વિસ્તારમાં પરિસ્કર-૨ના ફેઝ-૨ના ઇ બ્લોકના ૧૩મા માળ ખાતેના ફલેટમાં રહેવા માટે છેલ્લા કેટલાક સમયથી આવ્યા હતા. આજે સવારે મમતાબહેને અચાનક તેમના ૧૩મા માળ ખાતેના ફલેટમાંથી આત્મહત્યાના ઇરાદે નીચે પડતુ મૂકયુ હતુ. બરોબર એ જ વખતે આ જ પરિસ્કર ફલેટમાં બીજા માળે રહેતાં નિવૃત્ત શિક્ષક એવા ૬૯ વર્ષીય બાબુભાઇ દિવાકર ગામીત મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા અને યોગાનુયોગ મમતાબહેન સીધા એમની પર જ પડયા હતા.
મમતાબહેન ૧૩મા માળેથી વૃધ્ધ બાબુભાઇ પર જોરથી પડતાં બંને જણાં જોરથી જમીન પર પટકાયા હતા અને બંને જણાંને ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે બંનેના પ્રાણપંખેરૂ ત્યાં જ ઉડી ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. અમરાઈવાડી પોલીસને જાણ થતાં પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.