ગુજરાત
News of Friday, 4th October 2019

સુરતના રાંદેર-અડાજણ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો :એક રાતમાં 10થી વધુ દુકાનોના તાળા તૂટ્યા

દુકાનોના તાળા તોડી હજારોની ચોરી કરી ફરાર: પેટ્રોલીંગ સામે સવાલ સર્જાયા

સુરત શહેરના રાંદેર-અડાજણ વિસ્તારમાં નવરાત્રિની ચોથી રાત્રે તસ્કરોએ એક જ રાતમાં લગભગ ૧૦થી વધુ દુકાનોના તાળા તોડી હજારોની ચોરી કરી ફરાર થયા હતા  સવાર પડતા જ દુકાનમાં ચોરી થઈ હોવાની ખબર પડતા જ વેપારીઓ દોડતા થઈ ગયા હતા. એક સાથે ૧૦ દુકાનોના તૂટેલા તાળાના બનાવને લઈ રાંદેર અને અડાજણ પોલીસ દ્વારા કરવામાં આવતા પેટ્રોલીંગ સામે પ્રશ્નો ઉભા થયા હતા.

    રાંદેર-અડાજણ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં મેઈન રોડ પર ૧૫૦ મીટરના અંતરે આવેલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી છે. જ્યારે અડાજણ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં હોટેલ પાસેની કેટલીક દુકાનોના તાળા તૂટ્યા બાદ પોલીસ દોડતી થઈ હતી.

   તસ્કરોએ સિમેન્ટના હોલસેલ અને રિટેલર વેપારીની દુકાન, કંકોત્રીની દુકાન, કરીયાણાની દુકાન, મોબાઈલ શો-રૂમ સહિત અનેક નાના મોટા વેપારીઓની દુકાનને નિશાન બનાવી માત્ર રોકડ રકમ પર જ હાથ સાફ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

(9:43 pm IST)