મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વિશ્વવાત્સલ્યમહોદધિ, વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારજની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પ્રેમાંજલી....
ભારતીય સંસ્કૃતિના સંરક્ષક, સર્વધર્મના ચાહક અને વિશ્વ શાંતિના પ્રચારક એટલે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ. જેમણે પોતાનું સમગ્ર જીવન ધાર્મિક, રાષ્ટ્રીય, સામાજિક, શૈક્ષણિક વગેરે કાર્યોમાં ન્યૌછાવર કર્યું; લાખ્ખો કિલોમીટર દેશ-વિદેશમાં ધર્મ પ્રચારાર્થે સત્સંગ વિચરણ કરી ભારતીય સંસ્કૃતિ અને વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવ્યો; વાઘા બોર્ડર અને ખાવડા બોર્ડર આદિ બોર્ડરના સ્થળો પર જઈને સૈનિકોની સાર લીધી; દુષ્કાળ, પૂર, ભૂકંપ જેવી હોનારતોમાં લોકો અને મૂંગાં પશુઓની સાર સંભાળ લીધી; દેશ-વિદેશમાં વસતા સત્સંગ ચાહક ભાવિકોની પ્રાર્થના સાંભળી, સ્વીકારી અને તેમના દુ:ખદર્દને દૂર કર્યાં એવા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશ ગુરુ પરંપરાના - શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ.
પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીના ધાર્મિક, રાષ્ટ્રીય, સામાજિક વગેરે લોક હિતના કાર્યોની સુવાસથી પ્રભાવિત થઈ અનેક સંતો-મહંતો અને પ્રકાંડ વિદ્વાનોએ સદ્ધર્મરત્નાકર, સદ્ધર્મજ્યોતિર્ધર, સનાતનધર્મસંરક્ષક, સિદ્ધાંતવાગીશ, દાર્શનિકસાર્વભૌમ, સત્સિદ્ધાંતદિવાકર, સેવામૂર્તિપરંતપ:, વિશ્વવાત્સલ્યમહોદધિ, વેદરત્ન, વર્લ્ડ પીસ એમ્બેસેડર વગેરે પદવીઓથી નવાજ્યા છે.
સંસ્કારભાસ્કર આચાર્ય સ્વામીશ્રી મહારાજે અનેકાનેક ઐશ્વર્યો દર્શાવી ૭૮ વર્ષ આ લોકમાં દર્શનદાન આપ્યા છે જે આજે તેમની વાર્ષિક પ્રથમ પુણ્યતિથિ છે.
શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બે દિવસની પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે તારીખ: 03/08/2021ના રોજ સવારે વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ અમૂલ્ય ગ્રંથ તેમજ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી ભાગ – 1 મહાન ગ્રંથની પારાયણની મહાપૂજા તેમજ પૂજન, અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય સ્વામીશ્રી મહારાજે વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ ગ્રંથની પારાયણનો પ્રારંભ કર્યો હતો. આ ગ્રંથ વેદરત્ન આચાર્ય સ્વામીશ્રી મહારાજની જીવનલીલાનો ગ્રંથ છે. સાંજની સત્રસભામાં પણ અજોડ ગ્રંથની પારાયણની કથા શ્રવણનો લાભ જેના દેશ વિદેશના હજારો હરિભકતોએ ઓનલાઈન દર્શન શ્રવણનો લાભ લીધો હતો.
બીજા દિવસે - 04/08/2021ના રોજ સવારે શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસર મુકામે વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજને પાલખીમાં બિરાજમાન કરીને શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, મણિનગર સાથે સ્મૃતિ મંદિરની પ્રદક્ષિણા કરી સમાધિ સ્થાને પધરાવી વેદ રત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું પૂજન-અર્ચન, અષ્ટોત્તરશતનામ જનમંગલ સાથે પુષ્પાંજલિ અર્પણ, આરતી તથા હરિભક્તો દ્વારા કીર્તન મહિમાગન કરવામાં આવ્યું હતું. સાંજે પારાયણની પુર્ણાહુતી, પૂજન –અર્ચન, આરતી તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે દિવ્ય આશીર્વાદનો લાભ આપ્યો હતો. જેનો દેશ વિદેશના હજારો હરિભકતોએ ઓનલાઈન દર્શન શ્રવણનો લાભ લીધો હતો.