ગુજરાત
News of Tuesday, 4th August 2020

સુરતમાં મારા દીકરાને નશો કેમ કરાવે છે ? તેમ કહેતા પાડીશીઓ વચ્ચે ઝઘડો : ફટકો મારતા યુવકનું મોત થતા હત્યાનો ગુન્હો

સુરત: સુરત શહેરમાં આજે નવા પોલીસ કમિશ્નરે ચાર્જ સંભાળ્યો ત્યાં જ સુરતમાં ખુબ જ હિચકારી ઘટના સામે આવી હતી. માન દરવાજા ખ્વાજાનગરમાં યુવાનને મિત્રોએ દારૂ પીવા બોલાવતા યુવાન જતો હતો ત્યારે પાડોશમાં રહેતા યુવકે તેની માતાને કહ્યું કે, મારા દીકરાને નશો કેમ કરાવે છે? આટલી વાતમાં પાડોશીઓ વચ્ચે ઝગડો થયો હતો. જેમાં પાડોશીએ ફટકા મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

યુવકને તત્કાલ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાનાં મોત પ્રસંગે કલ્પાંત કરતા જણાવ્યું કે, મારા દિકરાને જાહેરમાં મારી નાખવામાં આવ્યો. જો તેના હાથ પગ ભાંગી નાખ્યા હોત અને અપંગ પણ બનાવી દીધો હોત તો પણ હું તેને આજીવન ખવરાવીને જીવાડત.

સુરતમાં કોરોનાના કહેર વચ્ચે સતત ગુનાખોરી વધી રહી છે. શહેરમાં હત્યાના ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરત શહેરના માન દરવાજા નજીક રહેતા મેહુલ યુવકને તેના પાડોશમાં રહેતા યુવાને દારૂ પીવા બોલાવ્યો હતો. જો કે મેહુલ પહેલા જવાની ના પાડી હતી. ત્યાર બાદ પાડોશમાં રહેતા તેના મિત્રનો પરિવાર આવ્યો અને મારા દીકરાને દારૂ કેમ પીવડાવે છે તેમ કહીને પાડોશીઓ વચ્ચે ઝગડો થતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.

જેમાં પાડોશી મેહુલનાં માથામાં લાકડાનાં ફટકા મારી દેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મેહુલનું મોત થયું હતું. ઘટના અંગે જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને હુમલો કરનાર માતા-પુત્રની અટકાયત કરી છે. જ્યારે અન્ય બેની શોધખોળ ચાલી રહી છે.

(5:02 pm IST)