બારડોલીમાં અકસ્માતમાં મોતમાં ભેટેલા આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ટ્રકે પગપાળા જતાં રાહદારીને ટક્કર મારતા ગંભીર ઇજા થઈ હતી
બારડોલીની અલંકાર ટોકીઝ પાસે પૂરઝડપે આવી રહેલ એક ટ્રકે પગપાળા જતાં રાહદારીને ટક્કર મારતા ગંભીર ઇજા થઈ હતી. તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું. સારવાર શરૂ કરતાં પહેલા કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં મૃતક કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાનાં બાબેન ગામે રહેતા ઈદરીશ અબ્બાસ પટેલ (50) શનિવારે રાત્રે અલંકાર ટોકીઝ પાસેથી પગપાળા જઈ રહ્યા હતા.તે સમયે પૂરઝડપે આવતી એક ટ્રકે તેમને ટક્કર મારી દીધી હતી. જેમાં ઈદરીશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં પ્રથમ સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ અને ત્યારબાદ બીજા દિવસે સુરતની સ્મીમેર હોસ્પિટલમ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. જો કે સારવાર પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેમને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.
મૃતકને કોરોના હોય તેમની અંતિમ વિધિ પણ કોરોના ગાઈડલાઇન અનુસાર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હાલ પોલીસે મૃતકનું પત્નીની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.