ગુજરાત
News of Monday, 4th July 2022

૩ લાખ ૬૦ હજાર બાળકોએ ભોજન કર્યુ : અદાણી વિલ્‍મરે કરી ગૌતમ અદાણીના જન્‍મદિવસની ઉજવણી

રાજકોટ : જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ૬૦મી વર્ષગાંઠની ઉજવણી અદાણી સમૂહની કંપની, અદાણી વિલ્‍મર લિમિટેડ દ્વારા સેવાકાર્ય થકી કરવામાં આવી હતી. આ અંતર્ગત અદાણી વિલ્‍મર લિમિટેડે એક સપ્‍તાહ સુધી અદાણી વિલ્‍મર લિમિટેડ અને અક્ષય પાત્ર ફાઉન્‍ડેશનના સહિયારા સહિયોગથી અમદાવાદ, વડોદરા અને સુરત વિસ્‍તારની અલગ અલગ મ્‍યુનિસિપલ શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્‍વાદિષ્‍ટ ભોજન આપવામાં આવ્‍યું.

બાળકોને ખિચડી - પુલાવ, રોટલી - થેપલા અને સુખડી કે ચુરમા જેવી મિઠાઇ અને ચણાની ચાટ કે મસાલા સિંગ જેવો નાસ્‍તો આપવામાં આવ્‍યો હતો. અક્ષય પાત્ર ફાઉન્‍ડેશન દ્વારા ભોજનની વ્‍વવસ્‍થા પૂરી પાડવામાં આવી હતી તેમ અદાણી વિલ્‍મર લિ.ના સીઇઓ અને એમડી અંગશુ મલ્લિકે જણાવ્‍યું હતું. છ દિવસના અંતે કુલ ૩,૬૦,૦૦૦ બાળકોએ પોષણયુક્‍ત ભોજનનો લાભ લીધો હતો તેમ જણાવાયું છે.

(11:51 am IST)