નક્કી કરેલી પેનલના આધારે ઉમેદવારનો નિર્ણય કરાશે
આઠ બેઠકોની પેટાચૂંટણી માટે કોંગ્રેસની કવાયત : કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની ૮ નિરીક્ષકો સાથે વર્ચ્યુઅલ બેઠક : બે દિવસમાં રિપોર્ટ આપવા સૂચના
અમદાવાદ, તા. ૪ : આગામી પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ પ્રભારીની બેઠક રાજીવ સાતવની ૮ નિરીક્ષકો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં નિરીક્ષકોને ૨ દિવસ બેઠકની મુલાકાત લઈ ઉમેદવાર અંગે ચકાસણી કરી રિપોર્ટ આપવા જણાવ્યું છે.
કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને નવા નિમાયેલા નિરીક્ષકો જોડે વર્ચ્યુઅલ બેઠક શુક્રવારે રાત્રે યોજી હતી. બેઠકમાં પ્રભારી રાજીવ સાતવે નિરીક્ષકોને કડક સૂચના આપી હતી કે એકપણ ઉમેદવાર કોઈની ભલામણથી નક્કી ન કરવાની સૂચના છે. આ વખતે સ્થાનિક સંગઠનોનો અભિપ્રાય જાણી બહુમતીથી જ ઉમેદવાર નક્કી કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.
આગામી તા.૬ઠ્ઠી અને ૭મી જુલાઈના રોજ નિરીક્ષકોએ બેઠકનો પ્રવાસ કરવો. આ દરમિયાન કાર્યકરો સાથે મુલાકાત કરી જે તે બેઠક પરના ઉમેદવાર અંગે સેન્સ લેવાની. આગામી ૮મી જુલાઈના રોજ દરેક નિરીક્ષકે પ્રભારી સાતવને રિપોર્ટ આપવો. નિરીક્ષકોએ નક્કી કરેલી પેનલના આધારે ઉમેદવાર નક્કી કરવા સૂચના અપાઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યની આઠ બેઠકો પરની પેટાચૂંટણીમાં અબડાસા બેઠક - સી.જે. ચાવડા, લીબડી - જગદીશ ઠાકોર, મોરબી - અર્જુન મોઢવાડિયા, ધારી - પુજાભાઈ વંશ, ગઢડા - શૈલેષ પરમાર, કરજણ - સિદ્ધાર્થ પટેલ, ડાંગ - ગૌરવ પંડ્યા અને કપરાડામાં તુષાર ચૌધરીની નિરીક્ષકમ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.