ભાજપના ધારાસભ્ય કિશોર ચૌહાણનો રિપોર્ટ પોઝિટિવ
કોરોનાને નથી નેતા-અભિનેતા કે સામાન્યજનનો ભેદ : કોંગ્રેસના પણ કેટલાક નેતા કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે, જેમાંથી ચાર લોકોનાં મોત નિપજ્યા છે
અમદાવાદ, તા. ૪ : કોરોનાથી રાજ્ય સહિત વિશ્વભરના મોટાભાગના દેશમાં હાહાકાર છે. ઘાતક કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે રાજ્યમાં પણ સતત વધી રહ્યા છે. ત્યારે આ વાયરસની ચપેટમાં ભાજપના ત્રીજા ધારાસભ્ય આવી ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય કિશોર ચૌહાણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. તેમનો રિપોર્ટ પઝિટિવ આવતા તેમને તેમના ઘરે જ કોરન્ટાઈન કરી સારવાર આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ ગુજરાત ભાજપાના બે ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે. જેમાં નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ અને નરોડાના ધારાસભ્ય બલરામ નથવાણીનો સમાવેશ થાય છે. આ સિવાય વડોદરા ભાજપા મહિલા કોર્પોરેટર દીપિકા પટણીને પણ કોરોના પોઝિટિવ આવી ચુક્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પણ કેટલાક નેતા કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. જેમાંથી ચાર લોકોના તો મોત નિપજ્યા છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં કોંગ્રેસના ત્રણ નેતાનો કોરોનાએ જીવ લીધો છે, જ્યારે વડોદરાના એક નેતાનું મોત થયું છે. અમદાવાદમાં કોરોનાના કારણે ગોમતીપુર વોર્ડ કોંગ્રેસના નેતા રફીક ઘાંચી, જમાલપુર વોર્ડના કોંગ્રેસના નેતા હબીબ મેવ અને કોંગ્રેસના કોર્પોરેટર બદ્દરૂદ્દિન શેખનું પણ કોરોના વાયરસના લીધે મોત નિપજયુ હતુ.