વિદેશથી સુરત આવેલ 130 જેટલા લોકો થયા લાપતા: પાસપોર્ટ ઓફિસેથી વિગતો મળી :મનપા દ્વારા શોધખોળ
મોબાઈલ નંબર પર સૂચના મોકલી પણ સેલ્ફ ડેકલેરેશન ફોર્મ ભર્યા નથી
સુરત : વિદેશથી સુરત આવેલ 130 જેટલા લોકો લાપતા થયા છે પાસપોર્ટ ઓફીસ દ્વારા આ ૧૩૦ લોકોની વિગતો મનપાને આપી છે. જેના આધારે મનપાને માહિતી મળી છે કે, આ ૧૩૦ લોકો સુરત આવ્યા બાદ શહેર છોડી ગયા છે
. તેઓના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ સાથે મનપાએ પોતાના સેલ્ફ ડેકલેરેશન ફોર્મ મનપાની વેબસાઈટ પર ભરી દેવા અને જ્યાં હોય ત્યાં હોમ ક્વોરેન્ટાઇન રહેવા સુચના આપી દીધી છે. મનપાની કોવીડ-૧૯ ટ્રેકર એપ પણ તેઓએ ડાઉનલોડ કરવાની છે, અને મનપાને પોતાના હોમ કોરોન્ટાઈન અંગેના ડેટા સતત મોકલતા રહેવાના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મનપા કમિશ્નરે કહ્યું હતું કે, વિદેશથી આવી ગયા છતાં જે લોકો હાલ તેઓના સરનામે મળી રહ્યા નથી અને જેઓએ મનપાને જાતે સેલ્ફ ડેકલેરેશન દ્વારા જાણ પણ કરી નથી તેઓ પર કડક કાર્યવાહી થશે અને જરૂર પડ્યે પાસપોર્ટ પણ રદ થશે. જોકે ૨૩૫ની યાદી પૈકી ઘણાનો સંપર્ક બાદમાં થઇ શક્યો હતો. હજી જે ૧૩૦ લોકો મળ્યા નથી, તેઓના પાસપોર્ટ કચેરી મારફતે મળેલ સરનામાના આધારે માહિતી મળી હતી કે, આ ૧૩૦ લોકો શહેર બહાર રવાના થઇ ગયા છે. પાસપોર્ટ ઓફીસમાંથી જ આ ૧૩૦ વ્યક્તિઓના પ્રાપ્ત થયેલા મોબાઈલ નંબર પર હાલ તો મનપાએ સુચના મોકલી છે. હજી પણ તેઓ દ્વારા સેલ્ફ ડેકલેરેશન નહીં કરવામાં આવે, કોવીડ-૧૯ ટ્રેકર ડાઉનલોડ કરવામાં નહી આવે અથવા મનપાને જાણ નહીં કરવામાં આવે, કે તેઓ હોમ ક્વોરેન્ટાઇન છે કે કેમ તો મનપા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાશે.