પાલનપુર:કોરોનાને લઈને લોકોમાં ફફડાટ:શંકાસ્પદ 23 રિપોર્ટ નેગેટિવ આવતા લોકોએ રાહત અનુભવી
પાલનપુર:વિશ્વમાં કોરોના વાઇરસને લઇ મૃત્યુ આંક સતત વધી રહ્યો છે. તેમજ ભારત અને ગુજરાતમાં પણ કોરોના પોજેટિવમાં કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇ લોકોમાં કોરોના સંક્રમણનો ફફડાટ વ્યાપેલો છે. તેવા સમયે બનાસકાંઠા માટે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં લેવાયેલા ૨૩ જેટલા શંકાસ્પદ કોરોના દર્દીઓના રીપોર્ટે નેગેટીવ આવતા તંત્રની સાથે લોકોએ હાશકારો અનુભવ્યો છે.
દેશ પરદેશ વસતા લોકો કોરોના વાઇરસ કહેરને લઇ વતનમાં પરત ફરી રહ્યા છે. જેમાં વિદેશ તેમજ મહારાષ્ટ્ર, સુરત, નવસારી, અમદાવાદ, સહિત જુદા જુદા જિલ્લાઓમાં વસતા બનાસકાંઠાના હજારો લોકો વતનમાં આવી ગયા છે. જેમનું આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું છે. અને કેટલાકને હોમ કોરન્ટાઇનમાં રાખાયા છે. જેમાં અગાઉ શંકાસ્પદ કોરોના લક્ષણ જણાતા ૨૨ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. જે બાદ કાંકરેજ તાલુકાના પાદરા ગામના એક વૃધ્ધને બે દિવસ થી શ્વાસ ચઢતાં ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રીપોર્ટ પણ નેગેટીવ આવ્યો છે. જોકે જિલ્લામાં અત્યાર સુધીમાં તમામ ૨૩ શંકાસ્પદ દર્દીના રિપોર્ટ નેગેટીવ આવતા બનાસકાંઠા કોરોના સામે સુરક્ષિત હોવાને લઇ તંત્ર સહિત લોકોએ હાશકારો અનુભવ્યો છે.