ધનસુરા:ધનસુરાથી રણાસણ રોડ નજીક કિશોરપુરા ચોકડી નજીક જતા માર્ગમાં ટ્રક-કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડયો
ધનસુરા: શહેરથી રણાસણ રોડ પર આવેલા શિવપુરાકંપાની સીમમાં કિશોરપુરા ચોકડી તરફ જતાં માર્ગ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કાર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું.જયારે કાર ચાલકની પત્નિ અને પુત્રીને ઈજાઓ થતાં તાકીદે ૧૦૮ દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા. જે ઘટના સંદર્ભે ધનસુરા પોલીસ સ્ટેશને ટ્રક ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
ધનસુરા-રણાસણ માર્ગ પર આવેલ શિવપુરાકંપાથી કિશોરપુરા તરફ જતાં માર્ગ પર બુધવારે બપોરે બારેક વાગ્યાના સુમારે ટ્રકના ચાલકે પોતાના કબ્જાની ટ્રકને બેદરકારી અને ગફલતભરી રીતે પુરઝડપે હંકારી સામે થી આવતી આઈટેન કારને ઘડાકાભેર ટક્કર મારતાં કાર ચાલક દિગંતભાઈ સુનીલભાઈ પટેલ (ઉ.વ.૨૮,રહે.બાયડ) ને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. જયારે કારમાં બેઠેલા તેમના પત્નિ જીગીશાબેન તથા છ વર્ષીય પુત્રીને ઈજાઓ થતાં ૧૦૮ દ્વારા તાકીદે હિંમતનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જે અકસ્માત સંદર્ભે મૃતકના કાકા નટવરભાઈ છગનભાઈ પટેલ રહે.બાયડ નાઓએ અકસ્માત કરી ટ્રક મૂકી નાસી ગયેલા ટ્રક ચાલક વિરૂધ્ધ ધનસુરા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.