તેલના ભાવ પ્રશ્ને કોંગ્રેસ 'ઉકળી': વિધાનસભામાં હોબાળો
ભાજપ સરકાર તેલિયારાજાઓ પાસેથી ફાળો લેતી હોવાના આક્ષેપથી સન્નાટોઃ નીતિન પટેલે આક્ષેપો ફગાવ્યાઃ કાયદો વ્યવસ્થા પ્રશ્ને પુંજાભાઇના પ્રહારો
(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર,તા. ૪: આજે વિધાનસભા ગૃહમાં ખેડૂતોને પૂરતા ભાવો મગફળીના મળતા નથી અને તેલના ડબ્બાના ભાવ ભડકે બળતા ભાવો અંગે વિરોધપક્ષના શૈલેષ પરમાર અને હર્ષદ રીબડીયાએ આકરા પ્રહારો કર્યા હતા. આ મુદ્દે હોબાળો થયો હતો. સુત્રોચાર સાથે દેકારો મચી ગયા હતા.
શૈલેષ પરમારે એક તબક્કે ભારે આક્રોશ પૂર્વક જણાવ્યું કે ભાજપ સરકાર તેલના ડબ્બાનો ભાવ વધારો કરી તેલીયા રાજાઓ પાસેથી ચૂંટણી ફંડ લેવામાં આવે છે.
આ ઉચ્ચારણોથી સતાધારી પક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતુ કે વિરોધપક્ષ માત્ર ખોટા નિવેદનો કરવાનું બંધ કરો.
રાજ્યગૃહમંત્રીએ શૈલેષ પરમારનો ચૂંટણી ફંડના શબ્દો ગૃહના રેકર્ડ ઉપરથી દૂર કરવા માંગણી કરી હતી જે માંગણી વિધાનસભા અધ્યક્ષે સ્વીકારી શબ્દો રેકર્ડ ઉપરથી દૂર કર્યા હતા.
પ્રશ્નોતરી પુરી થયા બાદ નિયમ ૧૧૬ ની તાકીદની અગત્યની બાબત ઉપર પોતાનું મંતવ્ય રજૂ કરતા પહેલા કોંગ્રેસના પુંજાભાઇ વંશે સત્તાધારી પક્ષને પર પ્રહારો કરતા જણાવ્યુ કે પ્રજાને છેતરવાનું બંધ કરો, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી બગડી છે. અહંકાર અને ઘમંડમાંથી બહાર આવો તેમ બોલતા મુખ્યમંત્રી પણ એક તબકકે ઉભા થઇ આક્રોશ પૂર્વક પ્રહારો કરવા ગયા પરંતુ ગૃહમાં ભારે દેકારો અને સુત્રોચ્ચાર ચાલતો હતો થેી તેઓ પોતે બેસી ગયા હતાં.
આ પ્રશ્ને વિરોધ પક્ષ દ્વારા ગૃહમાં ભારે સુત્રોચાર કરવામાં આવ્યા હતાં. આમ બન્ને પક્ષ દ્વારા સામ સામે તૂતૂ મેં મે જોવા મળી હતી.