કેદીઓ દ્વારા કેદીઓ માટેની બેંક બનવા જઈ રહી છેઃ ડો. કે.એલ.એન. રાવ
દેશના ઇતિહાસમાં ગુજરાતમાં પ્રથમ વખત અનોખો પ્રયોગ થવા જઈ રહ્યો છે : રેડિયો પ્રીઝનમા માત્ર મનોરંજન જ નહિ, મોટીવેશન દ્વારા માનસ પરિવર્તન, અને આત્મ નિર્ભર બનાવવા કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી અપાશે : કેદીઓને ડિજિટલ પાઠ શાળા દ્વારા શિક્ષણ મળી રહે તે માટે અનેરા આયોજનનો ધમધમાટઃ જાણીતા મહિલા શિક્ષણવિદ ડો. ઇન્દુ રાવ દ્વારા રાજયના કેદી કલ્યાણ માટે સેવાઓ પૂરી પાડવા સહમતી અપાઈ
રાજકોટ તા.૪, દેશના ઇતિહાસમાં સર્વ પ્રથમ કેદીઓ સંચાલિત અને કેદીઓ માટેની બેંક બનાવવા ગુજરાતમાં સદ્યન પ્રયાસો ચાલી રહયા ની બાબતને અકિલા સાથેની વાતચીતમાં રાજયના એડી.ડીજી. લેવલના ગુજરાતના જેલ વડા ડોક્ટર કે.એલ.એન.રાવ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
અમદાવાદ અને સુરત તથા રાજકોટ જેલ બાદ હવે વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે કેદીઓ દ્વારા સંચાલિત રેડિયો પ્રીઝન જેવો અદભૂત પ્રયોગ કરનાર ડો. કે. એલ.એન. રાવે ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે કેદીઓના જીવનની સવાર રેડિયો પર પ્રાર્થના દ્વારા થશે. કેદીઓ માટે જ્ઞાન સાથે ગમ્મત માટે અદભૂત પ્લાનિંગ થયાનું પણ જણાવેલ છે.
ડો. કે.એલ.એન.રાવે ‘અકિલા' સાથેની વિસ્તૃત વાતચીતમાં કેદીઓ જેલમુક્ત થયા બાદ વડા પ્રધાનના સ્વપ્ન મુજબ આત્મ નિર્ભર બને તે માટે તેમના મનમાંથી નિરાશા દૂર કરવા માટે મોટી વેશન સ્પિકરની મદદથી રેડિયો પર પ્રવચનો ગોઠવાશે. વાત અહીંથી અટકતી નથી, કેદીઓને રાજય અને કેન્દ્ર સરકારની કલ્યાણ કારી યોજનાઓની માહિતી પણ રેડિયો માધ્યમ દ્વારા ખૂબ સરળ ભાષમાં મળે તે પ્રકારે આખું આયોજન ગોઠવાય રહ્યુ છે. અત્રે યાદ રહે કે રાજયની વિવિધ જેલોમાં કેદીઓને સારી રીતે શિક્ષણ મળે તે માટે જાણીતા મહિલા શિક્ષણ વિદ ડો. ઇન્દુ રાવ દ્વારા સમગ્ર પ્રોજેક્ટ માટે મદદરૂપ બની રહ્યા છે. આમ દેશના ઇતિહાસમાં પ્રથમ વાર અનોખું થવા જઈ રહ્યું છે.