રાજપીપળા ખાતેની મામલતદાર કચેરીની લિફ્ટ એક વર્ષથી બંધ હોવાથી વિકલાંગો દાદર ચઢવા મજબૂર
વારંવાર રજૂઆતો બાદ પણ ત્યાં બિલ્ડીંગમાંજ બેસતા અધિકારીઓ કોઈજ કાર્યવાહી ન કરતા અરજદારોમાં ભારે રોષ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે કરોડોના ખર્ચે બનેલી નાંદોદ મામલતદાર કચેરીની લિફ્ટ એક વર્ષ થી બંધ હાલતમાં હોવા છતાં ત્યાંજ બેસતા અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી,બંધ લિફ્ટના કારણે ત્યાં કચેરીઓમાં આવતા રોજના કેટલાય અરજદારો પૈકી અમુક વિકલાંગ કે સિનિયર સીટીઝન હોય તેમને દાદર ચઢવામાં ભારે તકલીફ નો સામનો કરવો પડે છે. જોકે આ બંધ લિફ્ટ બાબતે અગાઉ વારંવાર લોકોએ રજૂઆતો કરવા છતાં અધિકારીઓ આ માટે ફક્ત ઠાલા આશ્વાસનો જ આપ્યા કરતા હોય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ બાબતે અગાઉ નાંદોદ મામલતદાર સાહિતનાઓને રજૂઆતો કરવામાં આવી છે છતાં એક વર્ષ થયાં બાદ પણ આ લિફ્ટ હજુ બંધ હાલત માં જ હોય રેઢિયાળ વહીવટ નો આ જીવંત દાખલો સૌ કોઈ નજરે નિહાળી રહ્યા છે. ત્યારે નવી બિલ્ડીંગ પાછળ સરકારે કરેલો કરોડો નો ખર્ચ શુ કામનો તેવા પણ સવાલો હાલ ઉઠ્યા છે.
આ બાબતે આરડીસી વ્યાસ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું કે એક વર્ષ થી લિફ્ટ બંધ હોય એને ચાલુ કરવા હું જાણ કરું છું.પ્રાંત અધિકારી હાલમાં મારી સાથે જ છે તો એમનું ધ્યાન દોરી લીફ્ટ ચાલુ કરાય તે માટે તજવીજ કરું છું