સાસરિયાના ત્રાસથી કંટાળી નડિયાદની પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો
નડિયાદ:શહેરના પશ્ચિમમાં રહેતી પરિણીતાએ સાસરીયાઓના ત્રાસથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે સાસરીયા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ પશ્ચિમમાં શીવકૃપા સોસાયટીમાં રહેતા બિપીનભાઈ લાલજીભાઈ રાવળના લગ્ન ૭ વર્ષ પહેલાં નિલમબેન સાથે થયા હતા. લગ્ન થયાને ઘણો જ સમય વિત્યો છતાં નિલમબેનને તેની સાસું પ્રવિણાબેન તથા તેનો દિયર અજયભાઈ રાવળ અવાર-નવાર નજીવી બાબતે ઝઘડો કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા. એટલું જ નહીં પરિણીતા પર વોચ રાખી અજયભાઈ રાવળે નિલમબેન ને કહેલ કે ખાનગીમાં છૂપી રીતે કેમ ખાય છે તેમ કહી મહેણાંટોણાં માર્યા હતા. જેથી નિલમબેનને લાગી આવતા ફીનાઈલની ગોળીઓ તથા ઉધઈ મારવાની દવા પી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે પરિણીતાએ સાસુ અને દિયર સામે ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે નિલમબેન બીપિનભાઈ રાવળની ફરિયાદ આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે પ્રવિણાબેન લાલજીભાઈ રાવળ તથા અજયભાઈ લાલજીભાઈ રાવળ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.