ગુજરાત
News of Thursday, 4th January 2018

નવી શરતથી જુની શરતમાં જમીન ફેરવવાના કેસો ઝડપથી પૂરા કરો

મહેસુલ મંત્રી કૌશિક પટેલની તંત્રને સૂચના

ગાંધીનગર તા. ૪ : મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે મહેસૂલ વિભાગની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મહેસુલ વિભાગના ત્રણે સચિવશ્રીઓ ઉપરાંત સચિવશ્રી (વિવાદ), સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ, સેટલમેન્ટ કમિશ્નર ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન અગ્રસચિવશ્રી પંકજકુમારે પ્રેઝન્ટેશન દ્વારા મહેસુલ વિભાગની કામગીરી અંગે વિસ્તૃત ચિતાર આપ્યો હતો.

મહેસૂલ મંત્રીશ્રીએ રાજયમાં ખાસ સચિવ (વિવાદ) તેમજ મહેસુલ પંચ દ્વારા ઝડપી ન્યાય મળે તથા એક જ પ્રકારના કેસોમાં થયેલ ચુકાદાઓ ધ્યાને લઈ ફરી તે જ મુદ્દાઓસર નવા કેસો ઉભા ન થાય તે માટે ચોક્કસ મિકેનિઝમ ગોઠવવા જણાવ્યું હતું. તેમણે રેવન્યુ અપીલ અને કેસોમાં જયારે રિમાન્ડ કરવામાં આવે ત્યારે તેનાચોક્કસ કારણો/મુદ્દાઓ દર્શાવીને રિમાન્ડ કરવામાં આવે તેવો અભિગમ અપનાવવા પણ જણાવ્યું.

રાજયમાં તમામ જિલ્લાઓમાં નવી જિલ્લા કલેકટર કચેરીઓ અને મામલતદાર કચેરીઓના મકાનના બાંધકામની કામગીરી આગામી વર્ષમાં પુર્ણ થઈ જાય તેવી તેમણે હિમાયત કરી હતી. શ્રી કૌશિકભાઇ પટેલે તા.૩૧-૧૨-૨૦૧૭ના અંત સુધીમાં ૧૫ વર્ષ ઉપરનો કબજો ધરાવતી નવી શરતની ખેતીની જમીનો ખેતીના હેતુ માટે ગ્રામ્ય કક્ષાએ શરતફેર કરવાનો (જુની શરત કરવાનો) કોઇ કેસ બાકી રહે નહી. તેવું આયોજન અમલી બનાવવા ખાસ ભાર મુકયો હતો. મહેસૂલ મંત્રીશ્રીએ મહેસુલ વિભાગની કામગીરી ખાસ કરીને ખેડુતો સાથે સંકળાયેલ હોવાથી ખેડુતલક્ષી સુધારાઓને અગ્રતા આપવા તથા પડતર મહેસુલી અપીલોનો સત્વરે નિકાલ કરીને અદ્યતન રેકર્ડ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા ખાસ તાકીદ કરી હતી.મહેસૂલ વિભાગ દ્વારા ચાલુ ફાઇલોનું લિસ્ટિંગ કરવામાં આવેલ છે. તેમજ પુર્ણ ફાઇલોનું વર્ગીકરણ કરીને રેકર્ડ રૂમમાં મોકલવામાં આવેલ છે. જે મુજબ આવી જ કામગીરી કલેકટર કચેરી, પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી દ્વારા ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવે તેવી સુચનાઓ પરિપત્રિત કરવા વિભાગને જણાવ્યું હતું.  તેમણે વર્ષોથી પડતર પ્રશ્નોનો વિભાગ કક્ષાએ તથા કલેકટર કચેરી, પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી દ્વારા સત્વરે નિરાકરણ કરવામાં આવે તેવી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું.

(11:40 am IST)