ગુજરાત
News of Wednesday, 3rd January 2018

સરગાસણ શાહપુર હાઇવે પર લકઝરી બસની ટક્કરે બાઈક સવાર યુવાન ઘટનાસ્થળેજ મોતને ભેટ્યો

ગાંધીનગર:શહેર નજીક સરગાસણ શાહપુર હાઈવે માર્ગ ઉપર લકઝરી બસની અડફેટે બાઈક સવાર ધોળાકુવાના યુવાનનું મોત નીપજયું હતું. અકસ્માત સર્જી કાબુ ગુમાવતાં લકઝરી બસ સાઈટમાં અંબાણી ઈન્સ્ટીટયુટની મોટી દિવાલને તોડી અંદર ઘુસી ગઈ હતી.

આ સંદર્ભે ઈન્ફોસીટી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે ત્યારે શહેર નજીક સરગાસણ શાહપુર માર્ગ ઉપર આજે અકસ્માતમાં વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે. ધોળાકુવા ગામમાં રહેતો યુવાન લક્ષ્મણજી મસારજી મારવાડી આજે સવારના સમયે તેનું બાઈક લઈને સરગાસણથી શાહપુર સર્કલ તરફ જઈ રહયો હતો તે દરમ્યાન પાછળથી આવતી લકઝરી બસ ન.જીજે-૧-૧૦૯૨ના ચાલકે લક્ષ્મણજીના બાઈકને અડફેટે લીધું હતું.

જેના કારણે લક્ષ્મણજી રોડ સાઈડમાં નીચે પટકાયો હતો. આ અકસ્માત બાદ બસના ચાલકે પણ કાબુ ગુમાવતાં બસ સાઈડમાં અંબાણી ઈન્સ્ટીટયુટની દસ ફુટ ઉંચી દિવાલને તોડીને કેમ્પસમાં ઘુસી ગઈ હતી. જેના કારણે ડ્રાઈવર અને કંડકટરને પણ ઈજાઓ પહોંચી હતી. તો શરીરે ગંભીર ઈજાઓના કારણે લક્ષ્મણજીનું મોત નીપજયું હતું.

આ અકસ્માતને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયા હતા અને આ ઘટના અંગે ઈન્ફોસીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી હતી.

(4:29 pm IST)