ગુજરાત
News of Wednesday, 3rd January 2018

કોંગ્રેસની વિપક્ષી નેતા પદ માટે કવાયત

આજે સાડા ત્રણ વાગ્યે પ્રદેશ કાર્યાલયમાં બેઠકઃ સાંજે બ્લુ લગુનમાં જમણવારઃ શહેર-જીલ્લા પ્રમુખો, ૧૮૨ ઉમેદવારો અને પ્રદેશ હોદેદારો હાજર રહેશે

રાજકોટ, તા. ૩ :. વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. ભાજપને સરકાર બનાવવા અને કોંગ્રેસને વધુ એકવાર વિપક્ષમાં જ રહેવા લોકોએ ચુકાદો આપ્યો છે. જ્યારે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પદની વરણી કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે કવાયત આદરી છે.

આજે રાજ્ય પ્રભારી અશોક ગેહલોત તથા કોંગી નેતા જીતેન્દ્રસિંહ અમદાવાદ આવી પ્રદેશ નેતાઓ, ચૂંટાયેલા ધારાસભ્યો, તમામ ધારાસભા ઉમેદવારો, શહેર તથા જીલ્લા પ્રમુખો સાથે વિચાર વિમર્શ કરી નેતા પદ, દંડક, ઉપનેતા, જાહેર હિસાબ સમિતિ તથા આગામી નગરપાલિકા સહિતની ચૂંટણીઓ અંગે ચર્ચા-વિચારણા કરશે.

મુખ્યત્વે વિધાનસભા વિરોધ પક્ષનું નેતા પદ સૌરાષ્ટ્રને ફાળે જશે તે નિશ્ચિત મનાઈ રહ્યુ છે.બપોરના ૩ વાગ્યાથી પ્રદેશ કાર્યાલય ખાતે ચહલપહલ શરૂ થશે. સાંજે એસ.જી. હાઈવે પર આવેલ બ્લુ લગુન પાર્ટી પ્લોટ ખાતે જમણવાર યોજાયો છે.

કોંગ્રેસની અખબારી યાદી મુજબ ચૂંટાયેલા ધારાસભ્યોની એક અગત્યની બેઠક કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના સંગઠન પ્રભારી અશોક ગેહલોતજી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા નિયુકત થયેલ. વિશેષ નિરીક્ષક પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંગ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં તા. ૩ જી જાન્યુઆરી, ૨૦૧૮ને બપોરે ૩.૩૦ કલાકે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે મળશે.

કોંગ્રેસ પક્ષના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની આ અગત્યની બેઠકમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાની પસંદગી માટે ચર્ચા-વિચારણા કરીને આખરી ઓપ અપાશે. આ બેઠકમાં નવા ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષક્ષના ધારાસભ્યોને અભિનંદન પણ પાઠવવામાં આવશે. સાથો સાથ આગામી સમયમાં કોંગ્રેસ પક્ષની વિધાનસભા ગૃહમાં અને વિધાનસભાની બહાર રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે.(૨-૭)

(11:27 am IST)