સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્ર્મણ અટકાવવા પોળો ફોરેસ્ટમાં બહારના પ્રવાસીઓ પર પ્રતિબંધ લંબાવવામાં આવ્યો
સાબરકાંઠા:જિલ્લામાં કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને હવે પોળોમાં આવતા સહેલાણીઓ, પ્રવાસીઓ માટે અગાઉ જે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો જે જાહેરનામું લંબાવવામાં આવતા નવો હુકમ બહાર પાડીને વધુ સમય માટે લંબાવવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર સી. જે. પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલા આ નવા જાહેરનામા મુજબ હાલમાં વિજયનગર તાલુકાના પ્રવાસન ધામ પોળો ફોરેસ્ટ ખાતે સોશિયલ ડિસ્ટન્સ તથા અન્ય બાબતોનું પાલન થતું ન હોવાની વ્યાપક ફરીયાદો ધ્યાને આવેલી છે. પોળો પ્રવાસના સ્થળે શનિવાર અને રવિવારના દિવસે ૨૦૦૦૦ થી વધુ પ્રવાસીઓ મુલાકાત લે છે જે મુલાકાતીઓ સમગ્ર રાજ્યમાંથી આવતા હોઈ કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી છે. જેથી વિજયનગર તાલુકાના પ્રવાસન ધામ પોળો ફોરેસ્ટ ખાતે શનિવાર, રવિવાર તથા જાહેરરજાના દિવસે બહારના પ્રવાસીઓની મુલાકાત પર પ્રતિબંધ મુકવો ઉચિત જણાતા આ જાહેરનામાથી પોળો ફોરેસ્ટ પ્રવાસીઓના અવર-જવર માટે જાહેર રજાના દિવસે બંધ કર્યું જે જાહેરનામુ વધુ લંબાવવામાં આવ્યું છે.