સુરતના ઉઘના વિસ્તારમાં રિક્ષાચાલકના બંધ ઘરને નિશાન બનાવી 1.89 લાખના દાગીનાની ચોરી કરનાર વિરુદ્ધ તપાસ શરૂ
સુરત: શહેરના ઉધના વિસ્તારમાં વતન ગયેલા રીક્ષાચાલકના બંધ ઘરમાંથી રૂ.1.89 લાખના સોનાચાંદીના દાગીના ચોરનાર પાંડેસરાના યુવાનને ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઘરના ભાડાના પૈસા ન હોય ચોરી કરવા નીકળેલા યુવાનને રીક્ષાચાલકના ઘરમાંથી મોટો હાથ લાગ્યો હતો.
ઉધના બીઆરસી ગાંધીકુટીર મકાન નં.224 માં રહેતા 49 વર્ષીય રીક્ષાચાલક છોટુભાઈ ઓમકાર પવાર ભાઈના પુત્રના લગ્નમાં હાજરી આપવા સપરિવાર વતન મહારાષ્ટ્ર ગયા હતા ત્યારે તસ્કરો મુખ્ય દરવાજાનું તાળું તોડી પતરાના કબાટમાંથી રૂ.1.88 લાખના 47 ગ્રામ સોનાના દાગીના અને રૂ.1200 ના ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.89 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. આ અંગે છોટુભાઈએ સોમવારે રાત્રે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉધના પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે મળેલી બાતમી તેમજ સીસીટીવી ફૂટેજના આધારે છોટુભાઈના ઘરમાં ચોરી કરનાર દિનેશ રામુસિંગ શીરસાટ ( ઉ.વ.21, રહે. ઘર નં.80, મરાઠી સ્કુલની બાજુમાં, નાગસેન નગર, પાંડેસરા, સુરત ) ને ગતસાંજે ઝડપી પાડી તેની પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.