ગુજરાત
News of Thursday, 3rd December 2020

ગુજરાતના ગામડાઓની 6 હજાર જેટલી સરકારી શાળાઓ બંધ કરવા તરફ સરકાર મક્કમતાથી આગળ વધે છેઃ કોંગ્રેસના પ્રવક્‍તા મનિષ દોશીના ચાબખા

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી શાળાઓમાં ઓછી સંખ્યાના નામે રાજ્ય સરકાર લાંબા સમયથી પ્રથમ સૈધ્ધાંતિક નિર્ણય અને ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓને ઓછી સંખ્યાના નામે બંધ કરવાનું મોટાપાયે શરૂ કરી નાખ્યું છે.

ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારની 6,000 જેટલી સરકારી શાળાઓ આગામી સમયમાં બંધ કરવા તરફ સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે જેના પરિણામે ગ્રામ્ય વિસ્તારના બાળકોને ખાસ કરીને કન્યા શિક્ષણ પર મોટો ફટકો પડશે. આદિવાસી વિસ્તારની સ્થિતિ તો અત્યંત નાજુક હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોષીએ જણાવ્યું છે.

તેમણે ગુજરાતના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિત સક્ષમ સત્તાવાળાઓને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાની રાજ્ય સરકાર નીતિરીતિ હોય તે રીતે એક પછી એક પગલા ભરી રહી છે.

સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકોની નિમણૂંકોમાં અતિ વિલંબ કરવામાં આવે છે. તેની સાથોસાથ ગ્રાન્ટેડ સંસ્થાઓના માળખાને તોડી નાખવા માટે આ સંસ્થાઓમાં અવસાન, નિવૃતિ સહિત ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂંક અંગે મંજૂરી કે કાર્યવાહી શિક્ષણ વિભાગ કરી રહ્યો નથી.

ગ્રાન્ટેડ સંસ્થાઓને ફરજીયાત સેલ્ફ-ફાઈનાન્સ વર્ગો શરૂ કરવા અને ક્રમશઃ ગ્રાન્ટેડ વર્ગો બંધ કરવા આયોજન બધ્ધ રીતે શિક્ષણ વિભાગ દબાણ કરીને શિક્ષણના વેપારીકરણ-ખાનગીકરણને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.

તેના ભાગરૂપે જ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ નિયામકના સીધા આદેશથી 23 નવેમ્બર 2020ના પત્રથી અંતરિયાળ વિસ્તાર અરવલ્લી જિલ્લામાં 76 શાળાઓને તથા કચ્છ જિલ્લાની 179 શાળાઓને તાળા લાગી ગયા છે. જેના લીધે કચ્છના ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને સામાન્યવર્ગના બાળકો જેમા ખાસ કરીને દીકરીઓના ભણવાનો અધિકાર છીનવાશે. રાજ્યમાં દરેક જિલ્લાઓમાં સરકારના આદેશથી ગ્રામ્ય વિભાગની સરકારી શાળાઓને તાળા લાગી રહ્યા છે, જે ગંભીર અને ચિંતાજનક છે.

વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં 6,000 જેટલી સરકારી શાળાઓ બંધ કરવાના રાજ્ય સરકારના અવિચારી નિર્ણયથી ગુજરાતના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના હજારો બાળકો શિક્ષણના અધિકારથી વંચિત રહેશે. જેથી ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણના અધિકાર માટે રાજ્ય સરકાર તાત્કાલિક 6,000 સરકારી શાળાઓ બંધ કરવાનો અવિચારી નિર્ણય રદ કરે તેવી માંગણી તેમણે કરી છે.

(4:32 pm IST)