ગુજરાત
News of Tuesday, 3rd December 2019

વડોદરા દુષ્કર્મ પ્રકરણમાં આરોપી હજુ સકંજાથી દૂર

કડીઓ હાથ ન લાગતા પોલીસ સામે પડકાર : નારાજ લોકોએ વડોદરામાં મોંઢા ઉપર કાળી પટ્ટી ધારણ કરી મૌન રેલી યોજી : પોલીસ ક્ષમતા સામે ગંભીર સવાલો

અમદાવાદ, તા.૩ : વડોદરામાં સામૂહિક દુષ્કર્ષની ઘટનાને છ દિવસનો ગાળો થઇ ગયો હોવા છતાં આરોપીઓ હજુ પણ સકંજામાં આવ્યા નથી જેના લીધે પોલીસ સામે પણ પડકાર વધી ગયા છે. બીજી બાજુ બળાત્કારની આ ચકચારી ઘટનાને લઇને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. નારાજ લોકો રેલીઓ કરી રહ્યા છે જેથી પોલીસ ઉપર પણ આરોપીઓને વહેલીતકે પકડી પાડવા માટે દબાણ વધી રહ્યું છે. વડોદરા શહેરના નવલખી મેદાનમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીઓને વહેલી તકે ઝડપી સખત નશ્યત કરવાની ઉગ્ર માંગ સાથે શહેરના નાગરીકો દ્વારા મોંઢા ઉપર કાળી પટ્ટી ધારણ કરી મૌન રેલી કાઢવામાં આવી હતી. ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળેલી રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. નવલખી મેદાનમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં છ દિવસ બાદ પણ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નહી હોઇ વડોદરાવાસીઓમાં ભારોભાર આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે તો, વડોદરા પોલીસ અને વડોદરા ક્રાઇમબ્રાંચની ક્ષમતા અને કાબેલિયતને લઇ હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. નવલખી મેદાનમાં બનેલી દુષ્કર્મની ઘટનાને પગલે શહેરીજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

               ત્યારે શહેરમાં વિવિધ સંસ્થાઓ, સંગઠનો, રાજકીય પક્ષો દ્વારા દુષ્કર્મને ઘટનાને વખોડતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના જાગૃત નાગરીકો દ્વારા ગાંધીનગર ખાતેથી મોંઢા ઉપર કાળી પટ્ટી ધારણ કરીને વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી. ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો જોડાયા હતા. અને પિડીતાને ન્યાય અપાવવા માટે માંગણી કરી હતી.ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળેલી રેલી અમદાવાદી પોળ, રાવપુરા રોડ, કોઠી ચાર રસ્તા થઇ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. પિડીતાનો ન્યાય આપો, આરોપીઓને વહેલી તકે પોલીસ પકડે તેવા પોષ્ટરો સાથે નીકળેલી રેલીના પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો. કલેક્ટર કચેરી ખાતે રેલી આવ્યા બાદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં આરોપીઓને વહેલીતકે ઝડપી પાડી તેઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તાજેતરમાં જ અમદાવાદની અલ્પસંખ્યક અધિકાર મંચની ટીમના કન્વીનર શમશાદ પઠાણ સહિતના સભ્યોની ટીમે દુષ્કર્મ પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી પરિવારને ઝડપથી ન્યાય માટેની સાંત્વના પાઠવાઇ હતી. અલ્પસંખ્યક અધિકાર મંચના કન્વીનર શમશાદ પઠાણે જણાવ્યું હતું કે, રાજયભરમાં દિન પ્રતિદિન વધતી જતી દુષ્કર્મની ગંભીર ઘટનાઓને લઇ બાળકીઓ, મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાને લઇ ગંભીર સવાલો હવે ઉઠયા છે.

              અલ્પસંખ્યક અધિકાર મંચ દ્વારા વડોદરા દુષ્કર્મ કેસના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી તેઓને સખત નશ્યત કરવા, પીડિતાને તાત્કાલિક વળતર ચૂકવવા સહિતની માંગણીઓ સાથે ગૃહરાજયમંત્રી, વડોદરા પોલીસ કમિશનર, રાજયના પોલીસ મહાનિર્દેશક, રાજય બાળ સંરક્ષણ આયોગ સહિતના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવાયુ હતું.  દરમ્યાન રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર અને ખૂબ જ શરમજનક એવી આ ઘટનાને છ દિવસ વીત્યા બાદ પણ વડોદરા પોલીસ અને વડોદરા ક્રાઇમબ્રાંચના હાથ ખાલી છે. દુષ્કર્મ આચરનાર આરોપીઓને પોલીસને બહુ સિફતતાપૂર્વક હંફાવી રહ્યા છે.  નવલખી ગ્રાઉન્ડના ઘનઘોર અંધારા અને ઝાડીઓના જંગલમાં શહેર પોલીસ ફાંફા મારી રહી છે. ઘટનાને છ દિવસથી વધુ સમય વીતી જવા પોલીસને હજુ કોઇ નક્કર કડી કે પુરાવા હાથ લાગ્યા નથી તે બાબત વડોદરા પોલીસની ક્ષમતા અને ભૂમિકા સામે પણ હવે ગંભીર સવાલો પેદા કરી હી છે. અલબત્ત, હાલના તબક્કે તો ૩૦૦ શકમંદોની પૂછતાછ બાદ પણ પોલીસની ૩૦ ટીમો બનાવી છે પરંતુ તે તમામ ઠેરની ઠેર છે. વડોદરાવાસીઓમાં પોલીસના ખાલી હાથ જોઇ ભારોભાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

(8:53 pm IST)