વડોદરામાં મનપાની બેદરકારી સામે આવી: જંતુનાશક પાવડરનો 500 કિલોનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો
વડોદરા: શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રની બેદરકારીને કારણે સ્વચ્છતાની કામગીરી બાદ છાંટવામાં આવતો જંતુનાશક પાવડરનો આશરે ૫૦૦ કિલો જથ્થો બિનવારસી હાલતમાં ખુલ્લામાં પડી રહેતા વરસાદમાં પલળીને બગડી ગયો છે.
વાઘોડિયા રોડ, સૂર્યનગર બસસ્ટેન્ડ સામે, ફાયર સ્ટેશનના કંપાઉન્ડમાં તૂટેલી દીવાલ સાથેના રૃમમાં ખુલ્લામાં આ જથ્થો પડી રહેતા વેરવિખેર થઇ ગયો છે. જેમાં કૂતરાઓ પણ આંટા મારે છે અને લોકો પણ ભરી જાય છે. આ જથ્થો સ્વચ્છતા અને સફાઇની કામગીરી બાદ છાંટવામાં આવે છે. અત્રે એ નોંધનીય છે કે આ પાવડર ચૂનો અને મેલેથિઓન મિક્સ હોય છે. સામાન્ય રીતે સફાઇ બાદ આ મિશ્રણ છાંટવામાં આવે છે, પરંતુ મિશ્રણ છાંટવામાં પણ નિષ્કાળજી રાખવામાં આવે છે. ચૂનો અને મેલેથિઓન બરાબર પ્રમાણસર મિક્સ કરાતો નથી. ઘણીવાર તો ચૂનો જ છાંટી દેવામાં આવે છે. મેલેથિઓન પાવડર ઝેરી હોય છે જે જીવજંતુઓ મારી નાખે છે. આ પાવડર એકલો છાંટી ન શકાય કેમ કે તે ખૂબ આકરો હોય છે અને ચૂના સાથે મિક્સ કરીને છાંટવામાં આવે તો તેની અસર વધુ જોવા મળે છે. જો કોઇ વગદાર દ્વારા ફોન કરીને પાવડર છાંટવાનું કહેવાય તો એકલો મેલેથિઓન જ છાંટી દેવામાં આવે છે. ચૂનો અને મેલેથિઓનની ખરીદી અને વાર્ષિક ઇજારામાં પણ ભાવ સહિતના મામલે આક્ષેપો ઊઠતા રહે છે.