ગુજરાત
News of Tuesday, 3rd December 2019

સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં દુકાનદારોને ધમકાવી હપ્તાની ઉઘરાણી કરનાર 2 ટપોરીઓની પોલીસે રંગે હાથે ધરપકડ કરી: 2ની શોધખોળ શરૂ

સુરત: શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં મર્ડરના ગુનામાં જેલમાંથી છુટેલા ટપોરી અને તેના ત્રણ સાગરીતોએ વિતેલા એક પખવાડીયામાં પોલીસવાલો કા હમ કો ડર નહીં કહી દુકાનદારોને ધમકાવી હપ્તા ઉઘરાવ્યા હતા અને હપ્તો નહીં આપનારની દુકાનોમાં તોડફોડ કરી આતંક મચાવતાં આખરે ગત રવિવારે એક મહિલા વેપારીએ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઇ હતી. ડિંડોલી પોલીસે બે સાગરીતની ધરપકડ કરી છે પરંતુ મુખ્ય આરોપી દિનેશ હજુ ઝડપાયો નથી.

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં નવાગામ ડિંડોલી નંદનવન રોડ ગાયત્રીનગર સોસાયટી વિભાગ 2 પ્લોટ નં. 96માં રહેતા બલવીરસિંહ જસવંતસિંહ રાજપૂત ઘરના આગળના ભાગે સુપરદેવ કિરાણા સ્ટોર્સ ધરાવે છે. ડિંડોલી પોલીસે ગતરાતે ચાર ટપોરીઓ પૈકી બે સાગરીત સમાધાન ઉર્ફે સમા શાંતારામ વારૂડે (ઉ.વ.22) ( રહે. 244, ચેતનનગર સોસાયટી, નવાગામ રેલ્વે ફાટક પાસે, ડિંડોલી , સુરત) અને સંદીપ મધુકર ગવઈ (ઉ.વ.21) ( રહે. 347, ચેતનનગર સોસાયટી, નવાગામ રેલ્વે ફાટક પાસે, ડિંડોલી, સુરત)ની ગતરાતે ધરપકડ કરી હતી. જોકે, મુખ્ય આરોપી દિનેશ સીરસાઠ હજુ પોલીસ પકડથી દૂર છે.

(5:16 pm IST)