વાઘોડિયા પંથકમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો આરોપી ઝડપાયો :નરાધમ જેલહવાલે
શ્રમજીવી પરિવારની કિશોરીને રસ્તામાંથી ઉઠાવી જઈને બંધ મકાનના બાથરૂમમાં દુષ્કર્મ ગુજાર્યું
વાઘોડિયા તાલુકાના એક ગામની નવીનગરીમાં રહેતા શ્રમજીવી પરિવારની બાર વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરાયાની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયી હતી. પોલીસે આ ગુનાનાં આરોપી નરાધમની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દિધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા તાલુકાના એક ગામમાં રહી મજુરીકામ કરી ગુજરાન ચલાવતા એક શ્રમજીવી પરિવારની બાર વર્ષની કિશોરી ગત તારીખ ૩૧ મીના રોજ સાંજના સમયે ગામમાં આવેલી એક દુકાન પરથી બીડી લઇ પરત ઘરે જઇ રહી હતી. ત્યારે રસ્તામાંથી કિશોરીને પકડી તેનું મોઢુ દબાવી ઉંચકીને લઇ જઇ એ જ ગામના એ જ વિસ્તારમાં રહેતા રોહિત સંપત નાયક નામના નરાધમે નવીનગરીના બંધ મકાનના બાથરૂમમાં લઇ જઇ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકમાં કિશોરીના પરિવારે નોંધાવી છે.
કિશોરીને ગુપ્ત ભાગે લોહી નીકળતાં આવી હાલતમાં ઘરે જઇને પોતાના પરિવારજનોને સઘળી હકિકત જણાવતા પરિવારના પગ તળેથી જાણે કે ધરતી ખસી ગઈ હતી. દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરીના પરિવારે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નરાધમ રોહિતને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દિધો હતો. જ્યારે દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરીને સારવાર માટે હોસ્પિટલમાં ખેસેડાઇ હતી. બનાવ સંદર્ભે વધુ તપાસ વાઘોડિયા પોલીસે હાથ ધરી છે.