વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં ગરબા સ્થળે અંગત અદાવત રાખી રીક્ષા ચાલકને ઢોરમાર મારતા ચાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ
વડોદરા:શહેરના નવાયાર્ડ વિસ્તારમાં અમરનગર ખાતે ગરબા સ્થળે અંગત અદાવતે હુમલાખોરોએ યુવક ઉપર હુમલો કર્યા બાદ તેની રીક્ષાની તોડફોડ કરી નુકસાન પહોંચાડયુ હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદના આધારે ફતેહગંજ પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચાલક 24 વર્ષીય ગૌરાંગ ડાભીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે રાત્રે હું અમરનગર ખાતે ગરબા જોવા માટે પહોંચ્યો હતો. તે સમયે ઋત્વિક જયંતિ મકવાણાએ અચાનક પાછળથી આવી માથામાં બોથડ પદાર્થ વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન આયોજકોએ મધ્યસ્થી કરતા હું પરત જતો રહ્યો હતો. તે સમયે મિત્રએ જાણ કરી હતી કે કોઈ વ્યક્તિએ મારી રીક્ષા તોડી નાખી છે. જેથી ઋત્વિકના પિતાએ જણાવ્યું હતું કે તું પોલીસ કેસ ન કરતો હું તને રિક્ષાનો ખર્ચો આપી દઈશ. તે સમયે ઋત્વિક મકવાણા , મેહુલ જાદવ અને અન્ય બે શખ્સો સાથે ઘસી આવ્યો હતો. અને પાઈપ તથા લાકડી વડે હુમલો કરી મને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના આધારે પોલીસે હુમલાખોર ઋત્વિક મકવાણા, મેહુલ જાદવ, તુષાર બારીયા સહિત ચાર શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની પકડના ચક્રો ગતિમાન કર્યા હતા.