ગુજરાત
News of Friday, 3rd July 2020

નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે તા.૭મી જુલાઇના રોજ બપોરે ૩ કલાકે ડ્રો દ્વારા ઓદ્યોગિક વસાહતના પ્લોટની ફાળવણી કરાશે

ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનાં સપનાને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબધ્ધ : નાના અને મધ્યમ ઉધોગકારોને પ્રોત્સાહિત કરવા જી.આઈ.ડી.સી દ્વારા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં ઐઠોર ખાતે ૪૭ હેકટર જમીનમાં ઔદ્યોગિક વસાહતની સ્થાપના : MSME ઝોન અને જનરલ ઝોન એમ બે ઝોન મળી કુલ ૨૭૯ પ્લોટનું આયોજન: MSME ઝોનમાં ૫૦૦ ચો.મી થી ૩,૦૦૦ ચો.મી સુધીના કુલ ૨૫૪ પ્લોટો તેમજ જનરલ ઝોનમાં ૩,૦૦૦ ચો.મી થી ૧૦,૦૦૦ ચો.મી સુધીના કુલ ૨૫ પ્લોટો ની ફાળવણી કરાશે: ઓનલાઈન મંગાવવામાં આવેલી અરજીઓમાં પાત્રતા ધરાવતી ૧,૨૨૦ અરજીઓ કન્ફર્મ કરવામાં આવી : ભારત સરકારની એજ્ન્સી નેશનલ ઈન્ફોર્મેટીક સેન્ટર થકી તૈયાર કરાયેલા સોફ્ટવેર મારફતે સંપૂર્ણ પારદર્શિતા સાથે ડ્રો કરાશે

ગાંધીનગર : ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનાં સપનાને સાકાર કરવા હરહંમેશ માટે કટિબધ્ધ ગુજરાત સરકાર દ્વારા તે દિશામાં વધુ એક નક્કર પગલુ ભર્યુ છે. નાના અને મધ્યમ ઉધોગકારોને પ્રોત્સાહિત કરવા જી.આઈ.ડી.સી દ્વારા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં ઐઠોર ખાતે ૪૭ હેકટર જમીનમાં ઔદ્યોગિક વસાહતની સ્થાપના કરવામાં આવી છે જેનો નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલના વરદહસ્તે તા.૭મી જુલાઇના રોજ બપોરે ૩ કલાકે ડ્રો કરી અરજદારોને પ્લોટની ફાળવણી કરાશે. ભારત સરકારની એજ્ન્સી નેશનલ ઈન્ફોર્મેટીક સેન્ટર થકી તૈયાર કરાયેલા સોફ્ટવેર મારફતે સંપૂર્ણ પારદર્શિતા સાથે આ ડ્રો કરાશે. જેમાં MSME ઝોન અને જનરલ ઝોન એમ બે ઝોન મળી કુલ ૨૭૯ પ્લોટની ફાળવણી કરાશે. ઓનલાઈન મંગાવવામાં આવેલી અરજીઓમાં પાત્રતા ધરાવતી ૧,૨૨૦ અરજીઓ કન્ફર્મ કરવામાં આવી હોવાનુ જી.આઈ.ડી.સીના અધ્યક્ષ શ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યુ છે.

શ્રી રાજપૂતે ઉમેર્યુ કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોવીડ-૧૯ કોરોના વાયરસની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક ગતિવિધિઓ, ઉધોગો,વેપાર-ધંધા, રોજગારના ક્ષેત્રો પુન : ધબકતા કરવા તથા કોવિડ – ૧૯ ના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન પૂર્વરત કરવાની દિશામાં અનેકવિધ પગલા ભર્યા છે ત્યારે તે જ દિશામાંઆ વધુ એક નક્કર કદમ સાબિત થશે.

તેમણે ઉમેર્યું કે, જી.આઈ.ડી.સી દ્વારા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં ઐઠોર મુકામે ૪૭ હેકટર જમીનમાં ઔદ્યોગિક વસાહતની સ્થાપના કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ વસાહત મહેસાણા શહેરથી અંદાજે ૨૫ કી.મીના અંતરે આવેલી છે, જેમાં MSME ઝોન, તથા જનરલ ઝોન એમ કુલ ૦૨ ઝોનનુ આયોજન કરવામાં આવ્યું છે. MSME ઝોનમાં ૫૦૦ ચો.મી થી ૩,૦૦૦ ચો.મી સુધીના કુલ ૨૫૪ પ્લોટોનું તેમજ જનરલ ઝોનમાં ૩,૦૦૦ ચો.મી થી ૧૦,૦૦૦ ચો.મી સુધીના કુલ ૨૫ પ્લોટો મળી કુલ ૨૭૯ પ્લોટોનું આયોજન કરવામાં આવ્યું છે. ઐઠોર ઔધોગિક વસાહતમાં MSME ઝોનનો કામચલાઉ ફાળવણી દર રૂ. ૨,૩૨૦/- પ્રતિ. ચો.મી તેમજ જનરલ ઝોનનો કામચલાઉ ફાળવણી દર રૂ. ૩,૩૬૦/- પ્રતિ. ચો.મી છે. 

ઐઠોર વસાહતમાં ઔદ્યોગિક પ્લોટ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં પાત્રતા ધરાવતી ૧,૨૨૦ અરજીઓ કન્ફર્મ કરવામાં આવી છે. નિગમને મળેલી અરજીઓ પૈકી ૩,૦૦૦ ચો.મી. સુધીની જમીન મેળવવા પાત્રતા ધરાવતી ૧,૧૩૫ અરજીઓ પૈકી MSME ઝોનમાં ફાળવણી કરવા અંગે ડ્રો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પ્લોટની ફાળવણી ડ્રો પધ્ધતિથી કરવાનું નિગમ દ્વારા નકકી કરવામાં આવતા ભારત સરકારશ્રીની એજ્ન્સી એન.આઈ.સી. (નેશનલ ઈન્ફોર્મેટીક સેન્ટર) થકી તૈયાર કરાયેલા સોફ્ટવેર મારફતે સંપૂર્ણ પારદર્શિતા સાથે આ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંસદસભ્ય શ્રીમતી શારદાબેન પટેલ, જી.આઈ.ડી.સીના અધ્યક્ષ શ્રી બલવંતસિંહ રાજપુત, ધારાસભ્ય શ્રીમતી આશાબેન પટેલ અને એ.પી.એમ.સી ઉંઝાના ચેરમેન શ્રી દિનેશભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અન્ય આગેવાન તેમજ અરજદારો ઉંઝા એ.પી.એમ.સી ખાતે, કોવિડ-૧૯ના નિવારાત્મક પગલાંઓ અંગેની સૂચનાઓ ધ્યાને રાખી આ ડ્રો નું લાઇવ ટેલીકાસ્ટ નિહાળશે. 

તેમણે ઉમેર્યું કે, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની (જી.આઈ.ડી.સી) સ્થાપના ગુજરાત ઔદ્યોગિક વિકાસ અધિનિયમ, ૧૯૬૨ હેઠળ એક વૈધાનિક સંસ્થા તરીકે અને રાજ્યના ઔદ્યોગિક વિકાસના આધારસ્તંભ તરીકે થયેલી છે. જી.આઈ.ડી.સી દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૨૧૨થી વધુ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવી છે. જેમા આશરે ૬૩,૦૦૦ એકમો કાર્યરત છે અને ૧૭ લાખથી વધુ લોકોને આ એકમો થકી રોજગારી પ્રાપ્ત થઇ છે.

વિશ્વ સ્તરે આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે જી.આઈ.ડી.સી દ્વારા સ્પેશીયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન (SIRs), પેટ્રોલિયમ, કેમિકલ અને પેટ્રોકેમિકલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન (PCPIR), સ્પેશીયલ ઈકોનોમીક ઝોન (SEZs) પણ વિકસાવવામાં આવ્યા છે. રાજ્યના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તેમજ મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાના હેતુથી જી.આઈ.ડી.સી દ્વારા વિવિધ વસાહતોમાં બહુમાળી શેડ, એમ.એસ.એમ.ઈ પાર્ક અને મહિલા ઔદ્યોગિક પાર્ક પણ વિકસાવવામાં આવ્યા છે.

નિગમ દ્વારા વસાહતોમાં પાયાની માળખાકીય સુવિધાઓ જેવી કે, રોડ, ગટર, પાણી પુરવઠો, પાવર સ્પ્લાય નેટવર્ક, સ્ટ્રીટ લાઈટ, એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (કેમીકલ એકમોની વસાહત માટે) તેમજ અન્ય સુવિધાઓ જેવી કે, સ્કીલ અપગ્રેડેશન સેન્ટર, ગ્રીન સ્પેસ, બેંક, હોસ્પીટલ, કોમ્યુનિટી હોલ તથા વાણિજય પ્રવૃતિ માટેની જગ્યાઓ પણ વિકસાવવામાં આવી છે.

Ease of Doing Business (EODB) અંતર્ગત નિગમ દ્વારા ઉદ્યોગકારોને આપવાની થતી તમામ સેવાઓ જેવી કે જમીન માંગણીની અરજી, તબદીલીની અરજી, મોરગેજ પરવાનગી વિગેરે ઓનલાઈન પોર્ટલ મારફત કાર્યરત કરવામાં આવી છે. ઉદ્યોગકારો દરેક સ્તરે તેઓની અરજીની વિગતો ઓનલાઈન જોઈ શકે છે. એટલુ જ નહિ, નિગમની વસાહતોમાં ફાળવેલ મિલ્કતોના બાકી લ્હેણાં, પાણી તથા ડ્રેનેજ બીલનું ચુકવણું ઓનલાઈન પેમેન્ટ ફેસીલીટી દ્વારા કરી શકાય છે.

આ વસાહત માટે મળેલ અરજીઓ પૈકી MSME ઝોન માટેની અરજીઓનો ઓનલાઇન સોફટવેર ધ્વારા ડ્રો યોજી ફાળવણી અંગેની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે, જેની યાદી ડ્રો થયા બાદ તુરંત જ નિગમની વેબસાઇટ https://gidc.gujarat.gov.in ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયુ છે.

(4:14 pm IST)