શહેરકોટડા વિસ્તારમા એક યુવકની હત્યા કરવામાં આવી
લોકડાઉનમાં છૂટછાટ સાથે જ ગુનાખોરીમાં વધારો : બાપુનગરમાં એક વેપારીના વાહનમાંથી ત્રણેક લાખની રકમ ગઠિયાઓ ચોરી કરી ફરાર થઈ ગયા : પોલીસ તપાસ
અમાવાદ, તા. ૩ : લોકડાઉન હતું તે સમયે બહાર નીકળવા પર પ્રતિબંધ હોવાથી અમદાવાદ શહેરમાં શાંતિ જળવાઈ હતી. પણ હવે લોકડાઉનમાં છૂટછાટ મળતાં જ ગુનેગારો ગુનાને અંજામ આપી રહ્યા છે અને ગુનાખોરીની શરૂઆત થઈ ચૂકી છે.
શહેરકોટડા વિસ્તારમા એક યુવકની હત્યાનો બનાવ બન્યો ત્યાં એક વેપારીના વાહનમાંથી ત્રણેક લાખની રકમ ગઠિયાઓ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે હવે લોકડાઉન અંગે કામગીરી ઓછી કરી નાખતા પોલીસના માથે શહેરમાં બનતા ગુનાઓના કામનું ભારણ શરૂ થયું છે. ઓઢવમાં રહેતા વિજયભાઈ નાડીયા રખિયાલમાં આવેલી એક કંપનીમાં છ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે.
ગઈકાલે બાપુનગર ખાતે આવેલી રમેશભાઈ કાંતિભાઈ આંગડિયા પેઢીમાંથી પૈસા લેવા જવાનું હોવાથી તેઓ તેમનું એક્ટિવા લઈને ગયા હતા. ત્યાંથી તેમણે ૨.૯૮ લાખ રૂપિયા લીધા અને બાદમાં અન્ય ઉઘરાણી ના કામથી નીકળી તેઓ મેમકો ગયા હતા. ત્યાં વાહન પાર્ક કરીને કામ પતાવીને પરત આવ્યા ત્યારે તેમની એક્ટિવાની ડેકી નું લોક તૂટેલું હતું. તપાસ કરી તો, તેમાંથી ૨.૯૮ લાખથી વધુની રકમ કે જે આંગડિયા પેઢીમાંથી ઉપાડી હતી તે ગાયબ હતી.
આખરે પોલીસનો સંપર્ક સાધતા શહેરકોટડા પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે આઈપીસી ૩૭૯ મુજબ ગુનો નોંધી ચોરી કરનારને શોધવા તજવીજ હાથ ધરી છે.