ભાજપના સાંસદ મનસુખ વસાવાને ફોન પર મારી નાખવાની ધમકી : મોટો ખળભળાટ :પોલીસને જાણ કરતા તપાસ શરૂ
તીરથી વીંધી નાખીશું અને પાળિયાથી ટુકડા કરી નાખીશું : ફેન્સિંગનો વિવાદ રાષ્ટ્રીય કક્ષાએ ચમક્યો છે ત્યારે ફોન પર ધમકી
રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં હાલ તાર-ફેનસિંગ કામગીરી ચાલી રહી છે, જેનો સ્થાનિક આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે.ગુજરાત કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીને આ કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવા વિનંતી કરી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ફેનસિંગ કામગીરીનો મુદ્દો હાલ રાષ્ટ્રીય કક્ષાએ ચમક્યો છે ત્યારે આ મામલે ભાજપ સાંસદ મનસુખભાઇ વસાવાને એક વ્યક્તિએ ફોન પર મારી નાખવાની ધમકી આપતા ખળભળાટ મચ્યો છે.
ભાજપ સાંસદ મનસુખભાઇ વસાવાના જણાવ્યા મુજબ 2જી જૂન ના રોજ સાંજે 5:39 કલાકે 6303*** પરથી એક વ્યક્તિએ એમને ફોન કર્યો અને જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આદીવાસીઓ સાથે જે થઈ રહ્યું છે એ વહેલી તકે બંધ થવું જોઈએ બાકી મઝા નહિ આવે બિલકુલ, તમે કેમ આદિવાસીઓ સાથે જુલ્મ કેમ કરો છો તમે, એમ જણાવી મારી સાથે અસભ્ય ભાષામાં વાત કરી હતી.સાથે સાથે એણે એમ પણ જણાવ્યું હતું કે ગણપત ભાઈ રબારી અને મનસુખ વસાવાને તીરથી વીંધી નાખીશું અને પાળિયાથી ટુકડા કરી નાખીશું.મને દિવસમાં પણ ઘણા આદિવાસી સંગઠનનો સાથે કામ કરતા લોકોના ફોન આવ્યા પણ એમણે મારી સાથે સારી ભાષામાં વાત કરી હતું.તો આ મામલે મનસુખભાઈ વસાવાએ રાજપીપળા પોલીસને આ મામલે જાણ કરતા પોલીસ પણ હરકતમાં આવી છે.