મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં ૭૫૦૦ કિલો કેરીનો આમ્રકૂટોત્સવ તમામ કેરી અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો, ગરીબોમા વહેચવામાં આવી
અમદાવાદ તા.૨ સામાન્ય રીતે નૂતન વર્ષે દરેક મંદિરોમાં ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ હરિભકત વગેરેને વહેચવામાં આવે છે.
અત્યારે જ્યારે કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે સત્સંગ પ્રચારારાર્થે અમેરિકામાં વિચરણ કરી રહેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીના અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા મેમનગર ગુરુકુલથી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી મેેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં વિરાજીત ઘનશ્યામ મહારાજને સંતોએ ભાવથી ચંદનના વાઘા ધરાવી અારતિ ઉતાર્યા બાદ હરિભકતો તરફથી તેમજ કચ્છ, તાલાળા-ગીર, દ્રોણેશ્વર ગુરુકુલ વગેરે સ્થળોથી કેરીઓ મંગાવી ઠાકોરજી આગળ ૭૫૦૦ કિલો કેરીનો આમ્રકૂટોત્સવ કરવામાં આવ્યો હતો.
આ આમ્રકૂટોત્સવની તમામ કેરી પ્રસાદરુપે હોસ્પિટલો, અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો, નિરાધારો, ઝુંપડપટ્ટી વગેરે સ્થળોએ ગરીબોને, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, કોઠારી મુક્તસ્વરુપદાસજી સ્વામી તથા મેમનગર ગુરુકુલના યુવક મંડળના સભ્યો દ્વારા જાતે રુબરુ પ્રસાદ રુપે વહેંચવામાં આવી હતી.