બગોદરા:ધોળકાના નેસડા ગામે ગેરકાયદેસર ખોદકામ થતું હોવાની ફરિયાદો આવતા પોલીસે તપાસ હાથ ધરી
ધોળકા:તાલુકાના નેસડા ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૩૮૬વાળું બ્રાહ્મણ તળાવના ખેતરને ખડીને ફરિયાદીની ખેતીની જમીન આવેલ છે ત્યારે આ તળાવમાં તાજેતરમાં ગામના સરપંચ કનુભાઈ મથુરભાઈ કો.પટેલ, બે જેસીબી મશીનના ચાલક તથા માલીકો, ૮ ટર્બાના ચાલક તથા માલીકો તથા અન્ય શખ્સો દ્વારા એકસંપ થઈ તળાવમાં કોઈપણ જાતનું ખોદકામ કરવાની જરૂરીયાત ન હોવા છતાં સુજલામ સુફલામ અંતર્ગત તળાવને ગેરકાયદેસર રીતે ખોદકામ કરી ઉંડુ કરવામાં આવ્યું છે અને જે લોકોના તળાવ નજીક ખેતરો નથી તેવા વ્યક્તિઓની ખોટી સહિતો ઉભી કરી ગ્રામ પંચાયતમાં અરજી કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમજ ગેરકાયદેસર ખોદકામ કરી તેમાંથી પ્રાપ્ત થયેલ માટીનું પણ મીલીભગતથી વેચાણ કરી કરોડો રૂપિયાનું સરકારને નુકશાન પહોંચાડયું છે તેમજ આ ખોદકામથી ભવિષ્યમાં ખેડુતોને પણ મોટાપાયે નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે જ્યારે આ મામલે રજુઆત કરતાં સરપંચ દ્વારા યોગ્ય જવાબ ન આપી દાદાગીરી કરવામાં આવી હતી અને અધિકારીઓ કે સરકાર પણ તેઓનું કહિં બગાડી શકશે નહિં તેમ જણાવવામાં આવ્યું હતું. આમ ધોળકા તાલુકાના નેસડા ગામના તળાવને સરપંચ અને અન્ય લોકોની મદદથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરી નુકશાન પહોંચાડી ઉચ્ચાપત કરી હોવાની રજુઆત કરવામાં આવી હતી અને જવાબદાર તમામ લોકો સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને ગુન્હો નોંધવા જણાવ્યું હતું.