ગુજરાત
News of Friday, 3rd May 2019

રાજ્યમાં અપૂરતા વરસાદ અને પાણીની અછતને કારણે ઉનાળુ વાવેતરમાં ઘટાડો

ડાંગર,બાજરી,મગફળી,શાકભાજી,કઠોળ અને તેલીબિયાનું વાવતેર ઘટ્યું

 

ગાંધીનગરઃ રાજયમાં ચાલુ વર્ષે અપુરતો વરસાદ અને પાણીની તંગી સર્જાતા ઉનાળુ વાવેતરમાં ઘટાડો થયો છે કૃષિ વિભાગના આંકડા મુજબ, ગત વર્ષની તુલનાએ રાજયમાં ડાંગર, બાજરી, મગફળી અને શાકભાજીનાં વાવેતરમાં નોંધપાત્ર ઘટાડા સાથે કુલ વાવેતરમાં 77 હજાર હેકટરનો ઘટાડો નોંધાયો છે.

ચાલુ વર્ષે પાણીની કટોકટી જોતા સરકાર દ્વારા નર્મદા યોજનાની કેનાલ તેમજ અન્ય જળાશયોમાં રહેલા પાણીના જથ્થાને પીવા માટે અનામત જાહેર કરી ૧૫ માર્ચથી સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરાતાં ઉનાળુ વાવેતરમાં 77 હજાર હેકટરનો ઘટાડો થયો છે. રાજય સરકારના કૃષિ વિભાગનાં આંકડા મુજબ વર્ષ 2017માં 7,59,212 હેકટર વિસ્તારમાં જુદા-જુદા પાકો લેવાયા હતા. જયારે ચાલુ વર્ષે ઉનાળુ વાવેતર વિસ્તાર 77 હજાર હેકટર ઘટી 6,82,290 હેકટર થયું છે

કૃષિ વિભાગના આંકડા અનુસાર રાજ્યના સિંચાઈથી પ્રભાવિત સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં વાવેતરનું પ્રમાણ ઘટયું છે. ગુજરાતમાં ડાંગર, મકાઈ, અડદ સહિતના વાવેતરમાં ઘટાડો થયો છે. પાણીની અછતને કારણે ખાસ કરીને બાજરી, મગફળી અને શાકભાજીનો વાવેતર વિસ્તાર ઘટયો હોવાથી ઉનાળાના અંતિમ ભાગમાં લોકોને શાકભાજીના ભાવ વધુ ચુકવવા પડશે. કઠોળ અને તેલિબિયાં પાકના વાવેતરમાં પણ ઘટાડો નોંધાયો છે

(12:24 am IST)