સોનારિયા બ્લોકમાં મકાનની છત ધરાશયી થતાં એક મોત
અમદાવાદ શહેરના બાપુનગરમાં બનેલી ઘટના : અગાઉ પણ બાપુનગર સોનારિયા બ્લોકની જર્જરિતતાનો મામલો ચગ્યો હતો : ફરી એક દુર્ઘટનાથી તંત્રમાં દોડધામ
અમદાવાદ,તા. ૩ : શહેરના બાપુનગર, ઓઢવ, નારણપુરા સહિતના વિસ્તારોમાં જર્જરિત ઇમારતો અને તેનો કેટલોક ભાગ થોડા મહિનાઓ પહેલાં ધરાશયી થવાના કારણે આ સમગ્ર મામલો બહુ ચગ્યો હતો. અમ્યુકો તંત્રએ કેટલાક બ્લોક નવેસરથી રિડેવલપ કરવાનું પણ જાહેર કર્યુ હતુ અને તે અંગેની કામગીરી પણ શરૂ કરી હતી. જો કે, આ તમામ ઘટનાક્રમ પછી આજે થોડા મહિનાઓ પછી ફરી એકવાર બાપુનગર વિસ્તારમાં સોનારિયા બ્લોક ખાતે એક મકાનની છત ધરાશયી થવાની ઘટના સામે આવી હતી, જેમાં સુગ્રીવ યાદવ નામના વ્યકિતનું કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. શહેરના બાપુનગરના સોનારિયા બ્લોકમાં આજે જર્જરિત એવા એક મકાનનો સ્લેબ ધરાશાયી થતા સુગ્રીવ યાદવ નામના વ્યક્તિનું કાટમાળ નીચે દબાઇ જવાથી ગંભીર ઇજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, મૃતક થોડા મહિના પહેલા જ સોલેરિયા બ્લોકમાં રહેવા આવ્યો હતો. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. બનાવને પગલે સમગર્ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને મકાનની છત ધરાશયી થવાના કારણે એક વ્યકિતનું મોત નીપજવાને લઇ સ્થાનિક લોકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. ઘટના કેવી રીતે બની તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. તો, બીજીબાજુ, અમ્યુકો તંત્રએ પણ સોનારિયા બ્લોકના જર્જિરત મકાનમાં આ સ્લેબ તૂટવાની ઘટનામાં કારણ તપાસવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા.