ગુજરાત
News of Friday, 3rd May 2019

CBSE : વિદ્યાર્થીઓ આજથી માર્ક વેરીફિકેશન અરજી કરશે

વિદ્યાર્થી આજથી વેરીફિકેશન અરજી કરી શકશે : અરજી કરવાની છેલ્લી તારીખ આઠમી મે રહેશે : હવે સીબીએસઇ બોર્ડનું ધો-૧૦નું પરિણામ પણ ટૂંક સમયમાં

અમદાવાદ,તા. ૩ :  સીબીએસઈએ ધો-૧૨ના માર્ક્સ વેરિફિકેશન અને રિવેલ્યુએશન(પુનઃમૂલ્યાંકન) માટેનાં શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. ગઇકાલે ધો. ૧૨નાં પરિણામો જાહેર કર્યા બાદ સીબીએસઈના વાર્ષિક કાઉન્સિલિંગના ટાઇમટેબલની પણ જાહેરાત કરવામાં આવી છે. કાઉન્સેલિંગ તા.૧૬ મે સુધી ચાલુ રહેશે. વિદ્યાર્થીઓ દ્વારા વેરિફિકેશન માટે તા.૪થી મેથી અરજી કરી શકાશે. અરજી કરવા માટેની છેલ્લી તારીખ તા.૮ મે સાંજે ૫.૦૦ વાગ્યા સુધીની રહેશે.        દરમ્યાન સીબીએસઈ બોર્ડનું ધો. ૧૦નું પરિણામ હવે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બોર્ડ કોઈ પણ સમયે ધો. ૧૦નું પરિણામ જારી કરી શકે છે. જોકે સીબીએસઈ તરફથી હજુ કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર સંભવત તા.૫ મેના રોજ સીબીએસઈના ધો. ૧૦નું પરિણામ જાહેર થઈ શકે છે.

જો વિદ્યાર્થીઓને એવી શંકા હોય કે તેમના માર્કસ ઉમેરવામાં કે જોડવામાં કોઈ ભૂલ થઈ છે તો તેઓ પુનઃમૂલ્યાંકનો કરાવી શકે છે, જ્યારે ચકાસણીનો અર્થ એ છે કે તમે લખેલા જવાબો માટે યોગ્ય માર્કસ આપવામાં આવ્યા છે કે કેમ ? જો વિદ્યાર્થી કોઈ કોપીનું પુનઃમૂલ્યાંકન કરાવવા ઈચ્છતા હોય તો પહેલા તમારે માર્કસનું વેરિફિકેશન કરાવવું પડશે અને વેરિફિકેશન બાદ રિવેલ્યુએશન થશે. આવતીકાલથી વિદ્યાર્થીઓ તેમના માર્ક્સ વેરીફિકેશનની અરજી કરી શકશે, અરજી કરવાની છેલ્લી તારીખ ૮મી મે રાખવામાં આવી છે, જેથી તેનો લાભ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ સમયમર્યાદામાં અરજી સીબીએસઇ બોર્ડ સત્તાવાળાઓને કરી દેવાની રહેશે.

 

(8:25 pm IST)