ગુજરાત
News of Friday, 3rd May 2019

શિક્ષક સાથે લગ્ન કરીને લૂંટેરી દુલ્હન સપ્તાહમાં પલાયન થઈ

આઠ તોલા સોનુ અને એક લાખ રોકડ લઈ ફરાર : શિક્ષક પતિએ વાડજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં ભારે સનસનાટી : પોલીસે લૂંટેરી દુલ્હનની તપાસ આરંભી

અમદાવાદ,તા. ૩ : શહેરમાં અમરાઇવાડી બાદ નવા વાડજમાં વધુ એક લૂંટેરી દુલ્હનનો આતંક સામે આવ્યો છે. ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફરજ બજાવતાં શિક્ષક સાથે લગ્ન કર્યાં બાદ સાત દિવસમાં યુવતી સાડા આઠ તોલા સોનું અને એક લાખ રોક્ડ લઇને નાસી જતાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થઇ છે. લૂંટેરી દુલ્હને ડાબેરીવાદમાં માનતા હોવાથી ઇશ્વરમાં વિશ્વાસ ધરાવતી નથી. જેથી અગ્નિ સમક્ષ ફેરા નહીં ફરવાનું કહીને માત્ર ફૂલહાર કરીને લગ્ન કર્યાં હતાં. વાડજ પોલીસે હવે આ બનાવને લઇ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. નવા વાડજ વિસ્તારમાં આવેલ લાલબાગ સોસાયટીમાં રહેતા અને ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ૪૦ વર્ષીય શીર્ષેન્દુરોયે વાડજ પોલીસ સ્ટેશનમાં પત્ની સહિત પાંચ લોકો વિરુદ્ધમાં ચીટિંગની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે શીર્ષેન્દુરોયના લગ્ન કરવાનાં હોવાથી તેમણે વર્ષ ૨૦૧૪માં મેરેજ બ્યૂરો ચલાવતા કમલ મિત્ર અને માનવ ઘોષ નામની વ્યકિતની મુલાકાત લીધી હતી અને લગ્ન માટે યુવતી બતાવવાની વાત કરી હતી. થોડાક દિવસ પછી બન્ને જણાએ ચંદ્રાણી ચેટરજી અને તેમના પતિ પ્રફુલ કાલે નામના દંપતીને શીર્ષેન્દુરોયના ઘરે મોકલ્યાં હતાં. પ્રફુલ કાલેએ શીર્ષેન્દુરોય માટે તેમની સાળી ઈંદ્રાણીનાં લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. શીર્ષેન્દુરોયને ચંદ્રાણી પંસદ આવતાં તેમને લગ્ન માટેની હા પાડી દીધી હતી અને તારીખ ૧ ડિસેમ્બર, ૨૦૧૪નાં રોજ લગ્ન કરવાનું નક્કી કરી દીધું હતું. લગ્ન પહેલા શીર્ષેન્દુરોયના માતા પિતાએ સાડા આઠ તોલા સોનું વકીલ પ્રદીપ રાજપૂતની હાજરીમાં આપ્યું હતું. સોનું આપ્યા બાદ ઇન્દ્રાણી, ચંદ્રાણી, તેમના પિતા મનોજભાઇ તેમજ સોનાલીએ શીર્ષેન્દુરોય અને તેમનાં માતા પિતાને જણાવ્યું હતું કે તેઆડાબેરીવાદમાં માનતા હોવાથી ઇશ્વરમાં વિશ્વાસ ધરાવતા નથી. જેથી અગ્નિ સમક્ષ ફેરા નહીં ફરવાનું કહ્યું હતું. જેથી વકીલ પ્રદીપભાઇ રાજપૂતે ફોર્મમાં બન્નેની સહીઓ લઇ લીધી હતી. તમામ વિધિ પૂરી થઇ ગયા બાદ ઇન્દ્રાણી શીર્ષેન્દુરોયના ઘરે ગઇ હતી અને સાત દિવસ ત્યાં રોકાઇ હતી. શીર્ષેન્દુરોયએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટેની વાત કરતાં તે તબિયત સારી નહીં હોવાનું કહીને ટાળતી હતી. સાસરીમાં આવ્યાના એકાદ બે દિવસ બાદ ઇન્દ્રાણી અલગ રૂમમાં રાત્રે સૂઇ જતી હતી.

આ મામલે ઇન્દ્રાણીનાં માતા પિતા તેમજ શીર્ષેન્દુરોયનાં માતા પિતા વચ્ચે મુલાકાત થઇ હતી. જેમાં બન્ને વચ્ચે ઝઘડો થતાં મનોજ ચેટરજીએ તેમને જતાં રહેવાનું કહ્યું હતું. શીર્ષેન્દુરોયે લગ્નના કાગળો ઇન્દ્રાણીને આપ્યા હોવાથી તેણે પણ હાથ ઊંચો કરી દીધો હતો. ઇન્દ્રાણી લગ્નના સાત જ દિવસમાં સાડા આઠ તોલા સોનું અને એક લાખ રૂપિયા લઇને જતી રહી હતી.

પોલીસે આ મામલે વેજલપુરમાં રહેતા ઇન્દ્રાણી, ચંદ્રાણી, મનોજભાઇ સોનાલી અને પ્રફુલ કાલે વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઇન્દ્રાણીનાં લગ્ન શીર્ષેન્દુરોય જોડે થયાં જ નથી તેવું કહેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

(8:00 pm IST)