અમદાવાદના ચાંદખેડામાં પરિણીતાને સંતાનમાં દીકરો કરાવવા માટે ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદ: ચાંદખેડામાં રહેતી પરિણીતાને સંતાનમાં દિકરો જન્મે તેવી દવા કરાવવી છે એમ કહીને સાસરીયાઓે પિયરમાંથી પૈસા લઈ આવવા માટે ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું.જેને પગલે પરિણીતા પિયરમાં ચાલી ગઈ હતી. બીજીતરફ તેના પતિએ બીજા લગ્નની તૈયારી કરતા તેને લાગી આવતા ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચાંદખેડા પોલીસે મહિલાના પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ ચાંદખેડામાં મોટેરામાં જાનકી નંદન સોસાયટીમાં રહેતા નર્મદાબહેનના લગ્ન ૨૦૧૩માં ઘનશ્યામ એમ.માલી સાથે થયા હતા. બન્નેના બીજી વખતના લગ્ન હતા. ઘનશ્યામને અગાઉની પત્નીથી બે દિકરી છે. દરમિયાન તેમના પતિ, સાસુ અને સસરાએ અગાઉથી બે દિકરી હોવાનું કહીને નર્મદાબહેનને તારી પાસેથી સંતાનમાં દિકરો જોઈએ છે, એમ કહ્યું હતું. નર્મદાબહેને દિકરી કે દિકરાનો જન્મ થવો કુદરતી બાબત છે એમ કહેતા સાસરીયાઓે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું.