ગુજરાત
News of Friday, 3rd May 2019

લોહાણા મહાપરિષદના ઉપપ્રમુખ ઉમંગભાઇ ઠક્કરને ગુજરાત રત્ન એવોર્ડ એનાયત

રાજકોટ, તા. ૩ : અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન સ્થિત જે.બી. ઓડીટોરીયમ ખાતે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ઉદ્યોગ, કલા, સાહિત્ય અને તબીબી ક્ષેત્રે ઉમદા પ્રદાન કરનાર રાજયના શ્રેષ્ઠીઓને ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

જે અંતર્ગત સમગ્ર વિશ્વના ૩૦ લાખ રઘુવંશીઓની વૈશ્વિક માતૃસંસ્થા લોહાણા મહાપરિષદના ઉપપ્રમુખ, અખિલ ગુજરાત લોહાણા સમાજના પૂર્વપ્રમુખ, લોહાણા મીલનના પૂર્વ પ્રમુખ ઉમંગભાઇ ઠક્કરને 'ગુજરાત રત્ન ગૌરવ' એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના મહામહિમ રાજયપાલ ઓ.પી. કોહલી વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.

ઉમંગભાઇ ૧પ૦ મુકબધીર બાળકો માટે ચાલતી 'ઉમંગ મુકબધીર શાળા'ના મેનેજીંગ ટ્રસ્ટી છે. ઉપરાંત અમદાવાદની કર્ણાવતી કલબ, રાજપથ કલબ, વાય.એમ.સી.એ. કલબ વગેરેમાં બોર્ડ મેમ્બર તરીકે સેવાઓ પ્રદાન કરી રહ્યાં છે. લાયન્સ કલબ, રોટરી કલબ, જેસીઝ, જી.આઇ.સી.ઇ.એ. તથા જી.આઇ.એચ.ઇ.ડી. સહિતની સંસ્થાઓમાં અગ્રેસર છે, ગોધરા ગામમાં સ્વામીનારાયણ મંદિર બનાવવાનો લાભ પણ ઉમંગભાઇએ લીધેલો છે. અમદાવાદ, આણંદ, સુરત તથા બોમ્બેમાં ૧રપ જેટલા કોમર્શીયલ તથા રેસીડેન્શીયલ પ્રોજેકટમાં વ્યવસાય ક્ષેત્રે અમદાવાદની 'ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રકચર' અને ગુજરાતનું ગૌરવ એવી હોટલ 'પતંગ'ના માલિક છે. સમગ્ર ગુજરાતમાં 'એફોર્ડેબલ હાઉસીંગ'ના પ્રણેતા છે. ઇન્ફ્રસ્ટ્રકચર સંસ્થાઓ ક્રેડાઇ, અમદાવાદ બિલ્ડર્સ એસોસીએશન વગેરેમાં પણ મહત્વના હોદા પર સેવા આપી રહ્યા છે.

ગુજરાત પબ્લીક અફેર્સ કાઉન્સિલ ઓફ કેનેડા તથા ગુજરાત સમાજ યુ.એસ.એ. દ્વારા અપાયેલ આ એવોર્ડ વિશે વિગતો આપતા ડોકટર શૈલેષ ઠાકરે જણાવ્યું હતું કે હાલમાં ચૂંટણીની આચાર સંહિતા લાગુ હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ થઇ શકે તેમ નથી ત્યારે આ જવાબદારી અમારા ટ્રસ્ટએ ઉપાડી લીધી છે અને ગુજરાતના સ્થાપના દિન નિમિતે વિવિધ ક્ષેત્રોમાં દિશાદર્શક કામગીરી કરનાર શ્રેષ્ઠીઓનું સન્માન કવરાનો અમે નિર્ણય લીધો હતો. ઉમંગભાઇ ઠક્કરની સાથે વાઘબકરી ગ્રુપના ચેરમેન પિયુષભાઇ દેસાઇ, કેડીલા કેરના ચેરમેન પંકજભાઇ પટેલ, વેશ્વિક ખ્યાતનામ તબીબ ડો. તેજસ પટેલ, ફિલ્મ કલાકાર સિદ્ધાર્થ રાંદેરીયા, લોકસાહિત્ય મર્મજ્ઞ પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી, સુવિખ્યાત ગઝલકાર મનહર ઉધાસ, જાણીતા કલાકાર સાંઇરામ દવે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર નેહા મહેતા સહિતનાઓનું પણ એવોર્ડથી અભિવાદન અને ઋણ સ્વીકાર કરાયું હતું.

ઉમંગભાઇ ઠક્કરને લોહાણા મહાપરિષદના પ્રમુખ પ્રવિણભાઇ કોટક, ગવર્નર યોગેશભાઇ લાખાણી, વાઇસ ગવર્નર પરેશભાઇ ભુપતાણી, મંત્રીઓ હિમાંશુભાઇ ઠક્કર અને પિયુષભાઇ ગંઠા, રાજકોટ સ્થિત ટ્રસ્ટીઓ નિતિનભાઇ રાયચુરા, વિણાબેન ગાંધી, હિંમતભાઇ કોટક, શ્રી લોહાણા મહાપરિષદના જોઇન્ટ સેક્રેટરીઓ કાશ્મીરાબેન નથવાણી અને મિતલ ખેતાણી, સૌરાષ્ટ્ર વિભાગના ઉપાધ્યક્ષ સુરેશભાઇ ચંદારાણા, હસુભાઇ ભગદે, યોગેશભાઇ પૂજારા, શિલ્પાબેન પૂજારા, રીટાબેન કોટક, શૈલેષભાઇ ગણાત્રા, ભરતભાઇ રેલીયા, અશોકભાઇ હિંડોચા, ડો. રમેશભાઇ ભાયાણી સહિતના સૌએ શુભેચ્છા પાઠવી છે તેમ લોહાણા મહાપરિષદના જોઇન્ટ સેક્રેટરી મિતલ ખેતાણીની યાદીમાં જણાવાયું છે. ઉમંગભાઇ ઠક્કર (મો. ૯૮૨૫૦ ૪૭૭૩૮)

(3:45 pm IST)