ગુજરાત
News of Friday, 3rd April 2020

વડોદરામાં કોરોના વાયરસે ૨૪ કલાકમાં ૨નો ભોગ લેતા ભારે ફફડાટઃ ૯ લોકોને ક્વોરેન્ટાઇન કરાયા

વડોદરા :વડોદરામાં કોરોના વાયરસે વધુ એક દર્દીનો ભોગ લીધો છે. ગઈકાલે એક દર્દીના મોત બાદ 24 કલાકમાં બીજા દર્દીનું મોત થયું છે. ગોધરાના કોરોનાના દર્દી અબ્દુલ હકીમ પટેલનું મોડી રાત્રે મોત નિપજ્યું છે. ગુરુવારની મોડી રાત્રે સારવાર દરમિયાન તેઓએ દમ તોડ્યો હતો. દર્દીનો બે દિવસ પહેલા જ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 78 વર્ષના દર્દી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. રિપોર્ટ પોઝિટિવ આવતા પહેલા દર્દી બે ખાનગી હોસ્પિલમાં સારવાર લઈને આવ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે તેમના મોતની પુષ્ટિ કરી છે. હાલ દર્દીના સંપર્કમાં આવેલા 9 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસથી મરનારા લોકોનો આંકડો 8 પર પહોંચી ગયો છે.

ગઈકાલે વડોદરામાં પહેલુ મોત થયું હતું

ગઈકાલે ગુરુવારે વહેલી સવારે વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું હતું. શ્રીલંકાથી આવેલા આ દર્દીએ કોરોના સામે લાંબી લડત આપી હતી. જેના બાદ આ ઉંમરલાયક દર્દીનું મોત નિપજ્યું હતું. શ્રીલંકાથી આવેલ આ વૃદ્ધને કારણે તેમના પરિવારના ચાર લોકોને કોરોનાના ચેપ લાગ્યો હતો.

રાજ્યમાં કઈ જગ્યાએ કોરોના વાયરસના કેટલા કેસ

અમદાવાદ - 31 કેસ,

વડોદરા - 9 કેસ,

સુરત - 12 કેસ,

રાજકોટ - 10 કેસ

ગાંધીનગર - 11 કેસ

ભાવનગર - 7 કેસ

પોરબંદર - 3

કચ્છ-મહેસાણા-પંચમહાલ 1-1-1 કેસ

ગીર-સોમનાથ - 2 કેસ

રાજ્યમાં કુલ 1826 ટેસ્ટ થયા હતા, જેમાંથી 24નો રિપોર્ટ પેન્ડિંગ છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું કે, પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સમાં ગરમ પાણી, યોગ વ્યાયામ સહિતની વાતો કોરોના વાયરસથી બચવા માટે કરી હતી. આ સાથે આરોગ્ય સચિવે કહ્યું કે, હળદર અને દૂધ સાથે લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ચેપ લાગવાની સંભાવના છે ત્યાં ચેન તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ સાથે તેમણે કહ્યું કે, હાઈ માસ્ક પહેરવાની જરૂર નથી. કોટનનું કાપડ કે હાથ રૂમાલ રાખવામાં આવે તે જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, લેટેસ્ટ સરકારી આંકડા મુજબ ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 88 પર પહોંચી ગઈ છે. આ માહિતી રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપી છે. રાજ્યભરમાંથી વધુ ત્રણ લોકો ડિસ્ચાર્જ થયા છે. આ સાથે કોરોના વાયરસથી સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થનારા વ્યક્તિઓની સંખ્યા 10 પર પહોંચી ગઈ છે. હાલ 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

ગુજરાતમાં કોરોના બીજા સ્ટેજમાં

આરોગ્ય સચિવે કહ્યું કે, ગુજરાતમાં કોરોના વાયરસ હાલ બીજા તબક્કામાં છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોના વાયરસના સરેરાશ ત્રણથી ચાર દર્દીઓ આવી રહ્યાં છે. તેના પરથી તેવા સંકેતો મળી રહ્યાં છે કે રાજ્યમાં કોરોના સ્ટેબલ થઈ ગયો છે. આ ખુબ સારા સંકેત છે.

(5:09 pm IST)