ગુજરાત
News of Wednesday, 3rd March 2021

તિલકવાડાના ઝાઝપુર ગામમાં "તમે કેમ કોંગ્રેસને મત આપ્યો છે" તેમ કહી હુમલો કરી ઇજા કરનાર 4 વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મંગળવારે પરિણામો જાહેર થયા હોય જેમાં કેટલાકથી હાર સહન ન થતા માથાકૂટ થવાની ઘટના બની હતી જેમાં તિલકવાડાના ઝાઝપુર ગામમાં પણ એક વ્યક્તિ પર ચાર ઈસમો એ હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝાઝપુર ગામના યોગેશભાઇ રણછોડભાઇ બારીયા ની ફરિયાદ મુજબ તેમના ગામના વિજયભાઇ નટવરભાઇ બારીયા,નટવરભાઇ છગનભાઇ બારીયા,ગોપાલભાઇ છગનભાઇ બારીયા અને મંગુભાઇ બબાભાઇ બારીયા એ તેમને જણાવેલ કે તમે કેમ કોગ્રેસ ને મત આપ્યો છે, તેમ કહેતા ફરી. એ જણાવેલ કે કોણે તમને કીધુ છે કે મે કોગ્રેસને મત આપ્યો છે મારો મત હું ગમે તેને આપુ તેમ કહેતા ચારેય ઉશ્કેરાઇ ગયા બાદ ફરી.ને ગમે તેમ ગાળો બોલી ઝઘડો કરી લોંખડની પાઇપ મારી ઇજા કરી ફરી.ને નિશાળની પાકી દિવાલ સાથે અથાડી માથામાં પણ ઇજા કરેલ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તિલકવાડા પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:42 pm IST)