ગુજરાત
News of Wednesday, 3rd March 2021

ગાંધીનગર નજીક પોર ગામમાં પતિ સહીત સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવી

ગાંધીનગર:શહેર નજીક આવેલા પોર ગામમાં રહેતી રપ વર્ષીય પરિણીતાએ પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને એસિડ પી લેતાં તેને કલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. તેની ફરિયાદના આધારે અડાલજ પોલીસે પતિ અને સાસુ સામે શારિરીક માનસિક ત્રાસ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. 

અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા પોર ગામમાં રહેતા નીતાબેનના લગ્ન પાંચ વર્ષ અગાઉ છનાજી પ્રહલાદજી ઠાકોર સાથે થયા હતા. તે તેમના પતિ છનાજી ઠાકોર અને સાસુ ભીખીબેન સાથે રહેતાં હતા. અવારનવાર પતિ દ્વારા તેમને માર મારવામાં આવતો હતો અને સાસુ પણ પતિનું ઉપરાણું લેતાં હતા. ગતા તા.ર૮ ફેબુ્રઆરીએ રાત્રીના સમયે તેમના પતિ અને સાસુ ઘરે હતા તે સમયે નીતાબેને કહયું હતું કે ડીંગુચા ખાતે તેમની જેઠાણીના ભાઈના લગ્ન છે હું લગ્નમાં જાઉ તેમ કહેતા પતિએ હું તારી સાથે હોઉ તે લગ્નમાં જવાનું છે તે સિવાય એકલા કયાંય જવાનું નથી. ત્યારે નીતાબેને મહોલ્લામાંથી અન્ય મહિલાઓ પણ જતી હોવાની વાત કરતાં પતિ છનાજી ઉશ્કેરાઈ ગયા હતા અને ગડદાપાટુનો માર માર્યો હતો. સાસુ ભીખીબેન પણ હાજર હોવા છતાં મારમાંથી છોડાવ્યા નહોતા અને તેમણે પણ લગનમાં જવાની ના પાડી દીધી હતી. જેથી સાસુ અને પતિન ત્રાસ કંટાળી નીતાબેને ઘરમાં પડેલું એસિડ પી લીધું હતું. જેથી તેમના પતિ તેમને સારવાર માટે અડાલજની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને તું નાટક કરે છે તેમ કહયું હતું. ત્યારે બીજા દીવસે તેમની તબીયત લથડતાં તેમના ભાઈ-ભાભી કલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં તેમની ફરીયાદના આધારે અડાલજ પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

(5:34 pm IST)