ગુજરાત
News of Wednesday, 3rd March 2021

સુરતના સગરામપુરના એપાર્ટમેન્ટમાં આગ:જીવ બચાવવા લોકો બારીમાંથી નીચે ઉતર્યાં

ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો: રેસ્ક્યુ હાથ ધરાયુ : શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડાઈંગ મિલમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવી લેવાયો છે, ત્યાં સગરામપુરા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં અચાનક આગ ભભૂકી હતી રહેણાંક વિસ્તારમાં આગની ઘટનાને પગલે સ્થાનિક રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા

  આ અંગે મળતી વિગત મુજબ, સગરામપુરા વિસ્તારમાં આવેલ રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે એપાર્ટમેન્ટમા રહેતા રહીશોએ બારીમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના વીડિયો કેમેરામાં કેદ થઈ ગઈ હતી

  આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રેસ્ક્યુ હાથ ધર્યું હતું. ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવતા લોકોને રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે.

(2:01 pm IST)