ગુજરાત
News of Friday, 2nd December 2022

હાર્દિક પટેલ હવે ભાજપના સભ્‍ય છે ‘પાસ'ના નથી, તેણે ભાજપના વિચારધારા પ્રમાણે સેટ થવુ પડશે, વાણી વર્તન તેનું ભવિષ્‍ય નક્કી કરશેઃ દિલીપભાઇ સંઘાણી

જો તે પ્રમાણે ચાલશે તો તેને ફાયદો થશે નહીં તો તેને જ નુકશાન થશે

અમરેલીઃ ભાજપના પૂર્વ કૃષિ મંત્રી દિલીપભાઇ સંઘાણી પોતાના વતન માળીલા ગામે મતદાન કરવા પહોંચ્‍યા હતા. પાસના આંદોલન પર થયેલા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્‍યું કે, હાર્દિક પટેલ ભાજપના સભ્‍ય છે, ભાજપની વિચારધારા પ્રમાણે સેટ થવુ પડશે.

પૂર્વ કૃષિ મંત્રી અને IFFCO ના ચેરમેન દિલીપ સંઘાણી પોતાના વતન માળીલા ગામે આજે મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં દિલીપ સંઘાણીએ ભાજપના વિરમગામ બેઠકથી ઉમેદવાર હાર્દિક પટેલ પર તીખા પ્રહાર કર્યા હતા. PAASના આંદોલન પર થયેલા પ્રશ્નનો જવાબમાં દિલીપ સંઘાણીએ કહ્યું કે, હાર્દિક હવે ભાજપનો સભ્ય છે, PAAS નો નથી. હાર્દિકે ભાજપની વિચારધારા પ્રમાણે સેટ થવું પડશે. હાર્દિકનું વાણી-વર્તન તેનું ભવિષ્ય નક્કી કરશે. 

2017 માં ભાજપ વિરોધી ચૂંટણી પ્રચાર કરનાર હાર્દિક પટેલ હાલ ભાજપનો જ ઉમેદવાર છે. ભાજપે હાર્દિક પટેલને વિરમગામ બેઠક પરથી ઉતાર્યા છે. ત્યારે પાંચ વર્ષના વહાણ વીત્યા, જેમાં ઘણુ બધુ બદલાઈ ગયું. ત્યારે પાસના આંદોલન પર ઉઠેલા પ્રશ્નોને લઈને દિલીપ સંઘાણીએ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપમાં કોઈ પણ આવે, બધા માટે આ પક્ષ ખુલ્લો છે. જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં સેટ ન થાય, ન ચાલે તો ત્યારે કાઢી પણ મૂકી છે. તેથી રાષ્ટ્રીય વિચારધારા સાથે કોઈ પોતાની ભૂલો સુધારવા આવે તો અમારુ કામ સુધારવાનું છે. તેઓ ભાજપની વિચારધારા સ્વીકારીને ભાજપના સદસ્ય બનતા હોય છે, નહિ કે પાસના આંદોલનના વિચારધારા સાથે હોય. તે વિચારધારા છોડીને ભાજપમાં આવવાનું હોય છે. ભાજપનુ ભવિષ્ય સારું છે. હાર્દિકનું ભવિષ્ય તેના વ્યવહાર પર છે. જો તે ભાજપના વિચારધારાને લઈને ચાલશે તો ફાયદો થશે, જો તેનો વિચાર નહિ કરે તો તેને પોતાને નુકસાન થશે. 

ઉલ્લેખનીય છે કે, પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી આ પ્રકારના બિન્દાસ્ત નિવેદનો આપવા માટે પ્રખ્યાત છે. 

જામનગરમાં બપોર સુધી 30.35 ટકા મતદાન નોંધાયુ

આજે જામનગર જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ છે. આજ બપોરના એક વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તાર પર કુલ ૩૦.૩૫ ટકા મતદાન નોંધાયું છે. જેમાં ૭૬-કાલાવડમાં ૩૨.૪૭ ટકા, ૭૭-જામનગર (ગ્રામ્ય)માં ૨૭.૨૧ ટકા, ૭૮-જામનગર (ઉતર)માં ૨૯.૨૫ ટકા, ૭૯-જામનગર (દક્ષિણ)માં ૨૭.૦૭ ટકા અને ૮૦-જામજોધપુરમાં ૩૬.૨૪ ટકા મતદાન નોંધાયું છે. સમગ્ર જામનગર જિલ્લામાં આ સમયગાળામાં કોઈ અનીચ્છનીય બનાવ બન્યા નથી ઉપરાંત શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં અને ઉત્સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે.

(6:20 pm IST)