તારાપુર-વાસદ સ્ટેટ હાઇવે પર અજાણ્યા વાહનની હડફેટે બાઈક સવારનું મૃત્યુ
તારાપુર:તારાપુર-વાસદ સ્ટેટ હાઈવે પર આવેલા માણેજ ગામના મણીલ-મી તીર્થની સામેના બ્રિજ નજીક પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહને આગળ જતા બાઈકને ટક્કર મારતાં ચાલકનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતુ. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે અજાણ્યા વાહનના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મુળ ભાવનગર જિલ્લાના ભોજપુરના પરંતુ હાલમાં વડોદરાના માંજલપુર ખાતે રહેતા અને રમકડા તેમજ ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતા વિપુલભાઈ જીલુભાઈ સાકરોલીયા (ઉ. વ. ૨૫)આજે સવારના સુમારે પોતાના વતનથી બાઈક નંબર જીજે-૦૪, ડીડી-૫૯૫૭નું લઈને વડોદરા જઈ રહ્યો હતો. દરમ્યાન માણેજ ગામ પાસે આવેલો ઓવરબ્રિજ ચઢતા પાછળથી આવી ચઢેલા કોઈ વાહને ટક્કર મારતાં તે રોડ ઉપર ફંગોળાયો હતો. થોડીવાર બાદ ત્યાંથી રીક્ષા લઈને જતા ફરિયાદી સંજયભાઈ મફતભાઈ ઠાકોરે તેને લોહીલુહાણ હાલતમાં જોતા જ તુરંત જ ૧૦૮ મોબાઈલ વાનને જાણ કરી હતી.
જેથી તેઓ આવી પહોંચ્યા હતા અને તપાસ કરતા વિપુલભાઈને માથા, પેટના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી જ્યારે જમણો પગ જ ભાંગી જવા પામ્યો હતો.ગંભીર હાલતમાં તેને સારવાર માટે તારાપુરની હોસ્પિટલમાં લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ તેનું મોત થયું હતુ. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને ટક્કર મારીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને સીસીટીવી ફુટેજની મદદથી તપાસ હાથ ધરી છે.