અમદાવાદમાં ગજબની છેતરપીંડી :દિરહામને રૂપિયામાં બદલવા આવેલ ગઠિયાઓ સાબુની ગોટી પકડાવી ગયા!
પ્લાસ્ટિકની થેલીમાં પાંચથી છ નોટો બતાવીને વિશ્વાસમાં લીધા બાદ સાબુની ગોટીના પેકેટ પધરાવી ગયા
અમદાવાદ: અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગરીબ હોવાનો ઢોંગ કરીને દુબઈના ચલણ દિરહામને ભારતીય ચલણમાં રૂપાંતર કરી આપવાના બહાને ગઠિયા સાબુની ગોટીના બનાવેલ બંડલો પધરાવી ગયા છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
આ અંગેની વિગત મુજબ દાણીલીમડામાં રહેતા મુબારક હુસૈન નામના વ્યક્તિએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદ પ્રમાણે તેઓ તેમની દુકાને હાજર હતા ત્યારે શાહિદ નામનો વ્યક્તિ આવ્યો હતો. પોતે ગરીબ હોવાનુ કહીને તેના મિત્રના માસીને શેઠના બંગલામાંથી દુબઈ ચલણ મળ્યું હોવાનું કહ્યું હતું. જે ચલણને ભારતીય ચલણમાં રૂપાંતર કરી આપવા માટે ફરિયાદીને વાત કરી હતી. અને એક 100ની નોટ પણ આપી છે.
ફરિયાદી આ નોટ લઈને રિલીફ રોડ પર આવેલા મની ટ્રાન્સફરની ઓફિસ પર ગયા હતા. જ્યાં તેમને જણાવવામાં આવ્યું હતું કે આ ચલણને બદલવા માટે કોઈ પ્રૂફની જરૂર પડતી નથી. આ 100ની નોટના બદલામાં તેમણે ભારતીય ચલણ પ્રમાણે બે હજાર રૂપિયા આપ્યા હતા. બાદમાં ગઠિયાએ ફરિયાદીને તેની પાસે આવી 100 નોટ હોવાનું કહ્યું હતું. જેને ભારતીય ચલણમાં રૂપાંતર કરી આપવા માટે ફરિયાદીએ એક દિરહામ દીઠ ત્રણથી ચાર ટકા કમિશનની વાત કરી હતી.
બાદમાં શાહિદ, તેના માસીનો દીકરો અને બીજો એક ગઠિયો એમ ત્રણ લોકોએ ફરિયાદીને એક પ્લાસ્ટિકની થેલીમાં પાંચથી છ નોટો બતાવીને વિશ્વાસમાં લીધા હતા. જે બાદમાં ફરિયાદીએ બીજી નોટો અસલી છે કે નકલી તેની તપાસ કરી ન હતી. બાદમાં આ ગઠિયાઓએ ફરિયાદી પાસેથી આ નોટોના બદલામાં હાલ પુરતા એક લાખ રૂપિયા માંગ્યા હતા. એક લાખ રૂપિયા આપતા જ ગઠિયા પલાયન થઈ ગયા હતા. આ મામલે ફરિયાદીને શંકા હતા તેમણે થેલીમાં જોતા ન્યૂઝ પેપર ના કટિંગના બંડલો અને સાબુની ગોટીઓ હતી. આ અંગે છેતરાયા હોવાનું જાણ્યા બાદ તેમણે પોલીસ ફરિયાદ આપી હતી.