મહેસાણાના વિસનગરમાં તંત્રને ઘાસચારા માટે જગ્યા નહિ મળતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા
વિસનગરના કાંસા અને દઢિયાળ ગામે ઘાસડેપો અધ્ધરતાલ
મહેસાણા :રાજ્ય સરકાર દ્વારા ઉત્તર ગુજરાતમાં અછતગ્રસ્ત જાહેર કરાયેલા 22 તાલુકાઓમાં 43 ઘાસડેપો શરૂ કરી ઘાસના વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ મહેસાણાના વિસનગરમાં વહીવટીતંત્રને ઘાસચારા માટેની જગ્યા મળી ન હોવાથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે
વિસનગરના મામલતદારે માર્કેટયાર્ડ પાસે માંગણી કરતા ઘાસચારા માટે માર્કેટ યાર્ડમાં જગ્યા ફાળવવામાં આવી છે. તેમ છતાં હજુ સરકાર દ્વારા ઘાસચારો અપાયો નથી.
મહેસાણાના ઉંઝા, વિસનગર, ખેરાલુ અને જોટાણા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા બાદ વિસનગરના કાંસા અને દઢિયાળ ગામે ઘાસડેપો શરૂ કરવાનું આયોજન કરાયું.
પરંતુ જાહેરાતને એક મહિનો વીતી ગયો હોવા છતાં છેક સુધી ઘાસચારા માટેની જગ્યા તંત્ર શોધી ન શકતા પશુઓનો ઘાસચારો સમયસર પહોંચી શક્યો નથી. પરિણામે પશુપાલકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.