આણંદ તાલુકાના વાસદ ગામે પાનના જિલ્લામાંથી તસ્કરોએ 30 હજારની મતાની ઉઠાંતરી કરતા ગુનો દાખલ
આણંદ:તાલુકાના વાસદ ગામે આવેલા યશ કોમ્પલેક્ષ પાસે આવેલી પાન-બીડીની દુકાનમાં ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ છતનું છાપરું ખોલી નાંખીને અંદર પ્રવેશ કરી ૩૦ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે વાસદ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી જતીનકુમાર અરવિંદભાઈ પટેલની યશ કોમ્પલેક્ષ નજીક નીલકંઠ સ્ટોર નામની પાન-બીડી, તમાકુનો હોલસેલ વેપારની દુકાન આવેલી છે.
ગઈકાલે રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનની ઉપરના ભાગે આવેલી છતનું છાપરુ ખોલીને અંદર પ્રવેશી તમાકુ, સીગારેટ તેમજ રોકડ વગેરે મળીને કુલ ૩૦૭૦૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સવારે જતીનકુમાર રાબેતા મુજબ દુકાને આવ્યા હતા અને દુકાન ખોલીને જોતાં જ અંદરનો બધો સામાન વેરવિખેર પડેલો હતો. જેથી તપાસ કરતા ઉક્ત મત્તાની ચોરી થવા પામી હતી. તેમણે તુરંત જ વાસદ પોલીસને જાણ કરતાં જ પોલીસ આવી પહોંચી હતી અને ફરિયાદ લઈને ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી.