નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી નૈષધભાઈ મકવાણાનો વિદાય સમારંભ યોજાયો
(ભરત શાહ દ્વારા )રાજપીપળા : નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી નૈષધભાઈ મકવાણા વય નિવૃત થતા રાજપીપળા ખાતે વિદાય સમારંભ યોજાયો હતો જેમાં શિક્ષકો અને શિક્ષણ પ્રેમીઓ તેમજ તેમના શુભેચ્છકો દ્વારા અઢળક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ તેમની સેવાઓ યાદ કરી આ સંવેદન શીલ કવિ હૃદય શિક્ષણાધિકારીને બિરદાવ્યા હતા તેમજ અન્ય વક્તાઓમાં એચ. એન. ચાવડા (સંયુક્ત શિક્ષણ નિયામક કમિશનર કચેરી ગાંધીનગર ) શબ્દશરણ તડવી (પૂર્વ મંત્રી) અને મુંબઇ થી ઉપસ્થિત થયેલા રાજપીપલાના પનોતા પુત્ર અને બોલીવુડના મ્યુઝિક ડાયરેક્ટર શિવરામ ભાઈ પરમાર તેમજ અન્ય મહાનુભવો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અભેસિંહ રાઠોડ દ્વારા તેમના સુરીલા કંઠે લોક ગીતો ગાઈ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સાથે નૈષધ મકવાણા દ્વારા લિખિત ગઝલો યાદ કરી હતી તેમની ફરમાઈશ પર ગુજરાતી હિન્દી ફિલ્મી ગીતો પોતાના મધુર કંઠે રજૂ કરી તેમજ તેમની લખેલી ગઝલો પર કામ કરવાની ઇચ્છા તેમણે વ્યક્ત કરી હતી.